ગાંધીનગરમાં યોજાયેલા વિશેષ ભરતી મેળામાં ૯૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી: રોજગારવાંચ્છુઓનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આજે એક વિશેષ રોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર-૬, એચ.પી. પેટ્રોલ પંપ નજીક આવેલા યોગી એડ્યુટ્રાન્સિટ પ્રા. લિ.ના પરિસરમાં યોજાયેલા આ વિશેષ ભરતી અભિયાનમાં સ્થાનિક યુવાનોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ વિશેષ ભરતી મેળામાં યોગી એડ્યુટ્રાન્સિટ પ્રા. લિ. કંપનીની કુલ ૧૦૦ જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના ૧૪૦ જેટલા લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા યોગ્ય માપદંડોના આધારે ઉમેદવારોના રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેમાંથી આખરી તબક્કાના અંતે કુલ ૯૪ ઉત્સાહી ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ મેળાના માધ્યમથી જિલ્લાના અનેક યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની ઉત્તમ અને સોનેરી તક પ્રાપ્ત થઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા બદલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા સહભાગી થયેલા તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો અને યોગી એડ્યુટ્રાન્સિટ પ્રા. લિ.ની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

