ગાંધીનગર

ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓની સુવિધા માટે “સમર્પણ શિશુ સંભાળ કેન્‍દ્ર” ઘોડીયાઘરનું ભવ્ય લોકાર્પણ

ગાંધીનગર ખાતે કાર્યરત મહિલા કર્મચારીઓના બાળકોની યોગ્ય સારસંભાળ અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ સંસ્થાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા અનુદાનિત અને ‘સરસ્વતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ’ સંચાલિત “સમર્પણ શિશુ સંભાળ કેન્‍દ્ર”- ઘોડીયાઘરનું આજે બ્લોક નં-૧૩, જુના સચિવાલય, ગાંધીનગર ખાતે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગરિમામય સમારોહનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને ટેકનિકલ) મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજેશકુમાર પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરમેન સુશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગના નિયામકશ્રી વિક્રમસિંહ જાદવ અને સંયુક્ત નિયામક સુશ્રી હંસાબેન વાળા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ કેન્દ્રની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો, ડૉ. જીવરાજ મહેતા ભવન – જૂના સચિવાલય ખાતે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓના ૦ થી ૬ વર્ષ સુધીના બાળકોને આ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે, જેથી તેઓ નિશ્ચિંત થઈને પોતાની ફરજ બજાવી શકે. આ ઘોડીયાઘરમાં કુલ ૬૦ બાળકોની રાખવામાં આવી છે અને બાળકોની પૂરતી દેખરેખ માટે સરકાર દ્વારા ૧ ઓર્ગેનાઇઝર અને ૬ આયબેનની જગ્યા મંજૂર કરવામાં આવી છે. અહીં આવતા બાળકોને પૌષ્ટિક જમવાનું અને સ્વાદિષ્ટ નાસ્તો પૂરો પાડવામાં આવશે, સાથે જ બાળકોના સ્વાસ્થ્યની જાળવણી, શારીરિક-માનસિક વિકાસ અને સુરક્ષિત સારસંભાળ માટે તમામ આધુનિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ શિશુ સંભાળ કેન્દ્ર શરૂ થવાથી સચિવાલયની મહિલા કર્મચારીઓમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને આ વ્યવસ્થા બદલ સરકારશ્રી તેમજ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *