સાદરા ગામે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ખાતે ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનશ્રી તરીકેના ૧૨ વર્ષના શાસનકાળે દેશના નાગરિકોમાં ‘વિકસિત ભારત’નો અડગ વિશ્વાસ જગાડ્યો છે. કેન્દ્રીય વનમંત્રીએ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વૃક્ષારોપણ અભિયાનની પ્રશંસા કરી, ગ્લોબલ વોર્મિંગ સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે પ્રકૃતિનું ઋણ ચૂકવવા વડાપ્રધાનશ્રીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ દરેક વ્યક્તિએ પોતાની માતાના નામે એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ.
તેમણે વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા કહ્યું કે ગરીબોને રૂ. ૧૦ લાખ સુધીનું આયુષ્માન સ્વાસ્થ્ય કવચ, બાળકો માટે ‘નમોશ્રી યોજના’, મહિલાઓ માટે ‘પીએમ માતૃવંદના યોજના’ અને આર્થિક સ્વનિર્ભરતા માટે ‘લખપતિ દીદી યોજના’ થકી સરકારે નાગરિકોને સક્ષમ બનાવ્યા છે. વીજ કટોકટી સામે ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’થી નાગરિકોના વીજ બિલ શૂન્ય થશે. જ્યારે દેશના દરેક વર્ગ મહિલા, યુવા, કિસાન અને મજૂર સુધી સરકારી યોજનાઓ પહોંચશે, ત્યારે જ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ વિકાસ કાર્યોની ઝાંખી રજૂ કરી હતી.તથા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સૌ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જનકલ્યાણ શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૧૫ જેટલી મહત્ત્વની યોજનાઓ હેઠળ સ્થળ પર જ અરજીઓ સ્વીકારવા સહિત જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં આ શિબિરનો લાભ લીધો હતો.
આ જનકલ્યાણ શિબિરમાં રાજ્યસભાના પદનામિત સાંસદ રાજેશભાઈ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ, મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મહોબ્બત ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ નિયલભાઈ, જિલ્લા કલેક્ટર રવીન્દ્ર ખતાલે અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જાસ્મીન હસરત ઉપસ્થિત રહ્યા હતા.

