ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં ૨૮ જૂનના રોજ ‘પલ્સ પોલિયો અભિયાન’નો પ્રારંભ: ૧.૫૮ લાખથી વધુ બાળકોને અપાશે સુરક્ષા કવચ

ગાંધીનગર તા.૨૬ જૂન-
બાળકોને પોલિયો મુક્ત અને તંદુરસ્ત ભવિષ્ય આપવાના ઉમદા આશય સાથે ગાંધીનગર જિલ્લામાં આગામી ૨૮ જૂનના રોજ પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૧,૫૮,૭૨૧ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપાં પીવડાવીને સુરક્ષિત કરવામાં આવશે. આ મહા-અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક અને સઘન આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાભરમાં કુલ ૭૪૬ બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં વાલીઓ પોતાના બાળકોને રસી અપાવી શકશે. અંતરિયાળ વિસ્તારો, ઈંટોના ભઠ્ઠા, બાંધકામ સાઇટ્સ અને વંચિત વિસ્તારો માટે ૧૦૩ મોબાઈલ ટીમ કાર્યરત રહેશે. આ ઉપરાંત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળો પરથી પસાર થતા બાળકો માટે ૫ ટ્રાન્ઝિટ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ અને રસીકરણની કામગીરી માટે કુલ ૩,૧૬૭ આરોગ્યકર્મીઓ ફરજ પર રહેશે.

તંત્ર દ્વારા પોલિયો રવિવારના મુખ્ય દિવસ બાદ, જે બાળકો કોઈ કારણસર બૂથ પર રસી પીવાથી વંચિત રહી ગયા હોય તેમને આવરી લેવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનના બીજા અને ત્રીજા દિવસે જિલ્લામાં ‘હાઉસ ટુ હાઉસ’ સર્વે હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે વિશેષ ૪૨૭ ટીમો બનાવવામાં આવી છે, જે ઘરે-ઘરે જઈને એક પણ બાળક રસી વિના ન રહી જાય તેની ખાતરી કરશે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ નાગરિકો અને વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, આગામી ૨૮ જૂનના રોજ તમારા ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈને “દો બૂંદ ઝિંદગી કી” અચૂક પીવડાવો અને દેશને પોલિયો મુક્ત રાખવામાં અમૂલ્ય યોગદાન આપો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *