ગાંધીનગર

ગાંધીનગરમાં ‘ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૨૬’ના અમલીકરણ માટે રાજ્યકક્ષાનો વર્કશોપ સંપન્ન

નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર, ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના પદાધિકારીઓ માટે ‘ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬ના અમલીકરણ અંગે’ એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના ખાતે કરવામાં આવ્યું હતું. તા.૧લી એપ્રિલથી સમગ્ર રાજ્યમાં અમલી બનેલા ‘ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૨૬’ ના સુદ્રઢ અમલીકરણ માટે યોજાયેલી આ મહત્વપૂર્ણ કાર્યશાળાનો વિધિવત પ્રારંભ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ શહેરી વિકાસ-ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો.

શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં સ્વચ્છતા અને જનઆરોગ્યની સુખાકારી માટે ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થવો અનિવાર્ય છે. આ પ્રક્રિયા માત્ર સ્વચ્છ ભારત મિશનની ટીમ પૂરતી સીમિત નથી, પરંતુ રાજ્યના પ્રત્યેક નાગરિકની નૈતિક અને સામાજિક જવાબદારી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની સૌથી નજીક હોવાથી તેઓ લોકજાગૃતિ લાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. નવનિર્વાચિત પદાધિકારીઓએ કેવળ વહીવટકર્તા બનીને રહેવાના બદલે ‘ફેસિલિટેશન લીડર’ તરીકે આગળ આવીને કાયદાના કડક અમલમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવી પડશે.
ઐતિહાસિક સંદર્ભો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ભૂતકાળની ભોપાલ ગેસ દુર્ઘટના બાદ હવા પ્રદૂષણના કાયદા કડક બનતા ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝમાં સી.ઈ.ટી.પી. પ્લાન્ટ ફરજિયાત બન્યા. તેવી જ રીતે, સુપ્રીમ કોર્ટના આદેશથી ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-૨૦૨૬ને વધુ કડકતાથી લાગુ કરાયો છે, જેથી કચરાના અયોગ્ય નિકાલથી પેદા થતા આરોગ્ય અને સ્વાસ્થ્યના ગંભીર પડકારોનો સામનો કરી શકાય. તેમણે કચરો ઉપાડવાથી લઈને અંતિમ નિકાલ સુધી જી.પી.એસ. આધારિત વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની સરાહના કરી હતી અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ તથા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ -STP પૂર્ણ ક્ષમતાથી કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો.

શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેર કે નગરની સ્વચ્છતા વગર ત્યાં થયેલો ગમે તેવો મોટો વિકાસ પણ ઝાંખો પડશે. વિકાસના કામોને ઉજાગર કરવા માટે સ્વચ્છતા અનિવાર્ય શરત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં ઝાડુ પકડીને દેશને સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો છે, તેને આગળ ધપાવવો એ આપણી નૈતિક ફરજ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાત સ્વચ્છતામાં દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે, પરંતુ આપણે સૌએ સાથે મળીને રાજ્યને પ્રથમ ક્રમે લાવવાનું છે. તેમણે પોતાના અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકેના કાર્યકાળના અનુભવ અંગે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન સિસ્ટમ દ્વારા અમદાવાદને સફળતાપૂર્વક ‘કચરાપેટી મુક્ત’ બનાવવામાં આવ્યું છે, જે મોડલ અન્ય પાલિકાઓએ પણ અપનાવવું જોઈએ. તેમણે શાળાઓ-કોલેજોમાં બેઠકો, શેરી નાટકો અને હોર્ડિંગ્સ દ્વારા સ્વચ્છતા અભિયાનને જન-આંદોલન બનાવવા અને જાહેરમાં થૂંકવા તેમજ કચરાના વૈજ્ઞાનિક વર્ગીકરણના નિયમોનું કડક પાલન કરાવવા પદાધિકારીઓને આગ્રહ કર્યો હતો.

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારસને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં અંદાજે ૫૦ ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે અને વર્ષ ૨૦૫૦ સુધીમાં આ પ્રમાણ ૬૫ ટકા થવાની સંભાવના છે, જ્યારે રાજ્યના જીડીપીમાં શહેરોનો હિસ્સો ૭૫ થી ૮૦ ટકા જેટલો રહેશે. આથી, આપણી ઉપર કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતાની મોટી જવાબદારી છે.

તેમણે ઉમેર્યું કે, નામ.સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. હવેથી કચરાને બે નહિ પરંતુ ચાર ભાગમાં – ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને ખાસ કાળજી વાળો કચરો – અલગ કરવો ફરજિયાત બનશે. પ્રથમ તબક્કામાં તમામ સરકારી અને નગરપાલિકાની કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં ચાર ડબ્બાની સિસ્ટમ તાત્કાલિક લાગુ કરાશે અને આગામી ત્રણ-ચાર મહિનામાં ડોર-ટુ-ડોર કલેક્શનની ગાડીઓને પણ આ મુજબ કન્વર્ટ કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *