ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરામાં ૧૦% પ્રોત્સાહક વળતર અને વ્યાજમાફી યોજનાની મુદત ૩૧ જુલાઈ સુધી લંબાવાઈ
ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકતવેરો એડવાન્સમાં ભરનાર કરદાતાઓને આપવામાં આવતા ૧૦% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજમાફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરીજનો તરફથી મળેલા બહોળા પ્રતિસાદને ધ્યાને રાખીને, જે નાગરિકો હજુ સુધી વેરો ભરવામાં બાકી રહી ગયા છે તેમને પણ આ લાભ આપવાના હેતુથી અગાઉ ૩૦ જૂન સુધી અમલમાં રહેલી આ યોજનાઓ હવે ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. ઓનલાઈન માધ્યમથી વેરો ભરનારા નાગરિકોને વધારાના ૨% સાથે કુલ ૧૨% વળતરનો લાભ આ વધારવામાં આવેલી નવી મુદત સુધી મળવાપાત્ર રહેશે.
અગાઉ ૧ એપ્રિલથી લઈને ૩૦ જૂન સુધીના સમયગાળા દરમિયાન મિલકતવેરાની વસૂલાતમાં શહેરીજનોનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે. આ યોજના દરમિયાન કુલ ૯૬,૦૮૬ જેટલા કરદાતાઓએ રૂપિયા ૪૫.૫૦ કરોડનો વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની આવકમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ડિજિટલ માધ્યમોના ઉપયોગમાં પણ ગાંધીનગરના નાગરિકોએ ખૂબ ઉત્સાહ દાખવ્યો છે, જેમાં ૬૨,૯૪૦ કરદાતાઓએ રૂપિયા ૨૬.૦૮ કરોડની રકમ ઓનલાઈન જમા કરાવીને ૧૨% પ્રોત્સાહક વળતરનો સીધો લાભ લીધો છે. કુલ વસૂલાત અને કરદાતાઓની સંખ્યામાં ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારાઓનું પ્રમાણ ૬૫.૫૦% જેટલું ઊંચું રહ્યું છે જે આવકારદાયક છે.
વળતર યોજનાની સાથે સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વ્યાજમાફી યોજનાને પણ ૩૧ જુલાઈ સુધી વિસ્તારવામાં આવી છે. અગાઉ ૧ માર્ચથી શરૂ થયેલી આ યોજના હેઠળ રહેણાંક મિલકતોના બાકી વેરા પર ૧૦૦% અને બિન-રહેણાંક મિલકતો પર ૫૦% વ્યાજમાફી આપવામાં આવી હતી, જે અંતર્ગત ૧૫,૩૧૦ બાકીદારોએ રૂપિયા ૧.૭૮ કરોડની વ્યાજમાફી મેળવી છે. આ યોજનાઓને મળેલા ઉત્કૃષ્ટ પ્રતિસાદ બાદ, મહાનગરપાલિકા બાકી રહેલા તમામ નાગરિકોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અને સમયસર મિલકતવેરો ભરીને ગાંધીનગર શહેરના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કરે છે.

