ગાંધીનગર

ગાંધીનગરના નાના ફેરિયાઓ અને વેપારીઓ માટે આશાનું કિરણ બની ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’

ગાંધીનગર શહેરમાં નાના ફેરિયાઓ અને લારી-ગલ્લા ધારકો માટે ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કોરોના કાળ બાદ નાના વ્યવસાયોને પુનઃ ધમધમતા કરવા અને આત્મનિર્ભર બનાવવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજના દ્વારા ગાંધીનગરના અનેક નાના વેપારીઓને સ્વાવલંબી બનાવવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આ યોજના હેઠળ નાના ફેરિયાઓ અને વેપારીઓને તબક્કાવાર સરળતાથી ધિરાણ આપવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ 6,411 ફેરિયાઓ અને નાના વેપારીઓની લોન મંજૂર કરવામાં આવી છે. વ્યવસાયને વધુ વિસ્તૃત કરવા માટે બીજા તબક્કામાં 2,904 ફેરિયાઓને ધિરાણ આપવામાં આવ્યું છે. જયારે ત્રીજા તબક્કામાં 1,129 ફેરિયાઓને મોટા પ્રમાણમાં આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. આમ કુલ 10,444 લાભાર્થીઓને આત્મનિર્ભર બનવા સરકારની સહાય મળી છે.
ગાંધીનગરમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. 18.23 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાંથી ફેરીયાઓને રૂ. 61 લાખ સબસિડી અને રૂ. 41 લાખ કેશબેક પ્રોત્સાહક રકમ પણ ચૂકવવામાં આવી છે. ડીજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળતાં નાના વેપારીઓ પણ હવે આધુનિક અને ડિજિટલ બેંકિંગ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગાંધીનગર શહેરના સેક્ટર-6 ખાતે ‘શ્રી સાંઈનાથ દાબેલી અને વડાપાવ’ નામની શોપ ચલાવતા યોગેશભાઈ ભાવસારે પીએમ સ્વનિધિ યોજનાથી મળેલી મદદ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “છેલ્લા ૧૪ વર્ષથી હું સેક્ટર-૬માં ‘શ્રી સાઈનાથ દાબેલી વડાપાઉં’ ના નામે દાબેલી અને વડાપાઉંનો વેપાર કરું છું. કોરોનાના કપરા અને મુશ્કેલ સમયમાં જ્યારે ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા, ત્યારે મને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘પીએમ સ્વાનિધિ યોજના’ વિશે જાણકારી મળી અને મેં આ યોજનાનો લાભ લીધો.”
“સરકારશ્રી તરફથી મળેલી આ આર્થિક સહાયથી કોરોના જેવા મુશ્કેલ સમયમાં મને ખૂબ મોટો આધાર અને સારી મદદ મળી રહી. શરૂઆતમાં મને ૧૦,૦૦૦ રૂપિયાની લોન મળી હતી, ત્યારબાદ ૨૦,૦૦૦ રૂપિયા અને હવે ૫૦,૦૦૦ રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ છે. આ રકમનો ઉપયોગ મેં મારા ધંધાને ફરી બેઠો કરવા અને તેને આગળ વધારવા માટે કર્યો છે, જેનાથી આજે મારો વેપાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. આ કપરા સમયે મદદ કરવા બદલ હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું.” આ જ પ્રકારે ચરેડી ગામના શાકભાજીના વ્યવસાયી એવા સત્યનારાયણભાઈ વ્યાસે જણાવ્યું હતું કે,”છેલ્લા ૨૦ વર્ષથી હું ગાંધીનગર ક્ષેત્રે ચરેડી ખાતે શાકભાજીનો ધંધો કરું છું. મને પીએમ સ્વનિધિ યોજનામાં હપ્રથમ તબક્કામાં ૧૦,૦૦૦ ,બીજા તબક્કામાં ૨૦,૦૦૦ રૂપિયા અને હવે ત્રીજા તબક્કામાં ૫૦,૦૦૦ રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ છે.”
“આ આર્થિક સહાયના કારણે હું મારું પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકું છું અને મારો ધંધાકીય વિકાસ થઈ રહ્યો છે. જ્યારે ધંધા અર્થે મારો હાથ પકડવાવાળાં કોઈ ન હતું, ત્યારે મેં આ યોજના વિશે મોબાઈલથી ઓનલાઈન જાણકારી મેળવીને લાભ લેવાનું શરૂ કર્યું હતું. આજે મારો વેપાર ખૂબ જ સરસ ચાલે છે, જે બદલ હું ભારત સરકાર, ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.” પીએમ સ્વનિધિ યોજનાએ આ પરિવારોને માત્ર આર્થિક મદદ જ નથી કરી, પરંતુ સ્વમાનભેર રોજી-રોટી કમાતા નાના વેપારીઓનો આત્મવિશ્વાસ પણ બમણો કર્યો છે. આજે ગાંધીનગર શહેરમાં આ યોજના થકી સેંકડો પરિવાર પોતાના પગભર થઈને આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર થઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *