ગાંધીનગરના નાગરિકો માટે મહત્વપૂર્ણ અપીલ: સ્વાઈન ફ્લૂથી ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું જરૂરી
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સ્વાઈન ફ્લૂ (H1N1) અંગે ગભરાટ કે ડરનો માહોલ ન ઊભો કરવા અને માત્ર જરૂરી સાવચેતી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. સ્વાઈન ફ્લૂ એ સામાન્ય ફ્લૂ જેવો જ વાયરલ ઈન્ફેક્શન છે, તેથી તેનાથી ડરવાને બદલે યોગ્ય સમયે લક્ષણો ઓળખીને સારવાર લેવી અત્યંત જરૂરી છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન (NHM)ના માર્ગદર્શન મુજબ નીચે મુજબના લક્ષણો જણાય તો તુરંત જાગૃત થવું જરૂરી છે
* સુસ્તી અને ભૂખ ન લાગવી
* હળવી કે તીવ્ર ઉધરસ અને ગળામાં બળતરા/દુખાવો
* ઉબકા આવવા અને ઊલટી થવી
* સાંધા અને સ્નાયુઓમાં અસહ્ય દુખાવો
* નાકમાંથી પાણી વહેવું
* તાવ આવવો
* માથાનો તીવ્ર દુખાવો
* ઝાડા થવા
તંત્ર દ્રારા સુચવવામાં આવેલા ધ્યાનમાં રાખવા જેવા મહત્વના પગલાં
ડોક્ટરની સલાહ લો: જો તમને કે તમારા પરિવારમાં કોઈને પણ ઉપર જણાવેલા લક્ષણો દેખાય, તો ગભરાયા વગર તુરંત જ નજીકના સરકારી કે ખાનગી તબીબનો સંપર્ક કરો.
વ્યક્તિગત સ્વચ્છતા: ઉધરસ કે છીંકવતી વખતે રૂમાલ અથવા ટીશ્યુ પેપરનો ઉપયોગ કરો. હાથ વારંવાર સાબુ અને પાણીથી ધોવો.
ભીડભાડવાળી જગ્યાએથી બચો: તાવ કે શરદી જેવા લક્ષણો હોય ત્યારે લોકોના સંપર્કમાં આવવાનું ટાળો અને પૂરતો આરામ કરો.
જાતે દવા ન લેશો: ડોક્ટરની સલાહ વગર જાતે કોઈ એન્ટિબાયોટિક કે અન્ય દવાઓ લેવાનું ટાળો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ અને સારવારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે, તેથી ભયમુક્ત રહીને આરોગ્ય વિષયક નિયમોનું પાલન કરો.

