ગાંધીનગરગુજરાત

IAS કે.રાજેશ સામે પૂર્વ સાંસદે જ નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કરી CBI તપાસની માંગ કરી હતી

ગાંધીનગર :

લાંચ અને ખોટી રીતે લાભ કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા ગાંડાએ PM નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને પીએમઓ કાર્યાલયમાં 11મી મે 2022ના રોજ કરેલી લેખિત રજૂઆત કરી નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. અને કે.રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી. તેમજ તેમણે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશ અને સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ઝાલા, કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર એચ.એમ.સારદિયા, નાયબ કલેક્ટર પાટડી તથા નાયબ મામલતદાર જમીન શાખા, નાયબ કલેક્ટર કચેરી પાટડી શાખાના કર્મચારીઓ, મામલતદાર, નાયબ મામલતદાર મહેસૂલ, તત્કાલીન સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી પાટડી, પાટડીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ખાનગી ઇસમો દ્વારા નાણાકીય લાભ મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડાની સરવે નંબર 685 સરકારી જમીન શ્રી યુગ નિર્માણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને સરકારી જમીન સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશે તા. 3/12/2018ના ગેરકાયદે હુકમથી પધરાવી દીધી હોવાનું જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની સીબીઆઈએ ધરપકડ કરી છે. 2017થી લઈ 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. આ દરમિયાન હથિયાર પરવાના લાઇસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા. પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાનાઓના લાઇસન્સ બેફામ રીતે આપી દેવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એને પગલે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સીબીઆઇની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખી અને સર્કિટ હાઉસ ખાતે અરજદારોના નિવેદનો લીધા હતા. IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમણને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી મેમણના કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

લાંચ અને ભ્રષ્ટાચારના આરોપસર IAS કે. રાજેશની સીબીઆઈ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે CBIની તપાસમાં બામણબોરમાં બે હજાર કરોડની જમીનકૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોંચશે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકર જમીનની લહાણી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

કે. રાજેશે સંસ્થાઓ અને જુદી જુદી મંડળીઓને સરકારી જમીનોની ફાળવણી કરી હતી. તે જમીનની ફાળવણીમાં તો વિવાદ થયા હતા, પરંતુ સાથે સાથે જંત્રી સહિતની બાબતોમાં પણ મોટા વિવાદો થયા હતા અને તેની રજૂઆતો પણ કરવામાં આવી હતી.

કે. રાજેશે જિલ્લામાં અનેક લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરી હતી, જેમાં એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે કોઈ સંસ્થા સાથે મળીને લાખો રૂપિયાનો વહીવટ કરીને તેમણે લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરી છે. આ મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો.

સુરેન્દ્રનગરની SBIમાંથી સુજલામ્ સુફલામના નામે રૂ. 72 લાખનો ચેક આપવા બાબતે એવી રજૂઆત થઇ હતી કે ખરેખર આ ચેક કોને અપાયો છે, તેમણે શું કામ કર્યાં છે, તે સંસ્થામાં કલેક્ટરના મળતિયા કે સગા ભાગીદાર છે કે નહીં તેની ચર્ચા થઈ હતી.

જિલ્લાના પૂર્વ કલેક્ટર કે. રાજેશે એપ્રિલ, 2018થી મે, 2021 સુધીનાં 3 વર્ષના કાર્યકાળ દરમિયાન હથિયારોના પરવાના આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હોવાના અનેક આક્ષેપો થયા છે. તેમણે પરવાનો માગનાર પાસેથી 4થી 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. એટલું જ નહીં, પોલીસનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં કે. રાજેશ પરવાનો આપી દેતા હોવાની વાતો પણ જે-તે સમયે વહેતી થઈ હતી. તેમના કાર્યકાળમાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે જ્યારે હથિયારનો પરવાનો લેવાનો હોય ત્યારે જે-તે વ્યક્તિને હથિયાર આપવાનું યોગ્ય છે કે નહીં એ માટે મામલતદાર અને પોલીસ ખાતાના રિપોર્ટ લેવામાં આવે છે, જેમાં ઘણા એવા અરજદારો હતા, જેમના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પૈસા લઈને હથિયારના પરવાના આપ્યા હોવાની પણ રજૂઆતો થઇ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x