ગાંધીનગરગુજરાત

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ, સાતવ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ખેડૂતોના દેવા માફીની માગણી સાથે આક્રોશ રેલી

ગાંધીનગર:

ખેડૂતોના દેવા માફીની માગણી સાથે કોંગ્રેસે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સાથે શરુ કરેલી કૂચ થોડી જ મીનિટોમાં સમેટાઈ ગઈ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ, સાતવ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં વિધાનસભા તરફ કોંગ્રેસની કૂચ શરુ કરાઈ હતી. હજુ તો આ કુચ આગળ વધે તે પહેલાં જ પોલીસના કાફલાએ એક પછી એક તમામની અટકાયત કરવાની શરુઆત કરી હતી. એક પછી એક અનેક કોંગ્રેસના આગેવાન અને કોંગ્રેસના કાર્યકર્તા, મહિલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. ઘણાં એવા દ્રશ્યો પણ સર્જાયા હતાં કે, પોલીસના કાફલાને જોઈ અનેક કાર્યકર્તાઓ તો નાસી છૂ્ટ્યા હતા.

અર્જુન મોઢવાડિયા, મનીષ દોશી સહિત અનેક નેતાઓને પણ વાનમાં ધકેલી દેવામાં આવ્યા હતા. કેટલાક કાર્યકર્તા સાથે તો પોલીસને ઝપાઝપી પણ થઈ હતી. ખેડૂતોની માગ સાથે ગાડા પર આવેલા કોંગ્રેસના નેતાઓ પોલીસ વાનમાં ત્યાંથી રવાના કરાયા હતા. તો કેટલાક બચી ગયેલા કાર્યકર્તા વિધાનસભા સુધી તો પહોંચ્યા પરંતુ ગેટ નંબર 1 આગળ જ તમામની અટકાયત કરવાની ફરજ પડી હતી. કૂચ દરમિયાન અટકાયત કરાતા પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારીએ રાજ્ય સરકાર પર ખેડૂતોના અવાજને દબાવવાનો આરોપ પણ મૂક્યો હતો. આખરે થોડા નાટકીય દ્રશ્યો સર્જાયા બાદ આ કૂચ અધવચ્ચે જ અટકી ગઈ હતી.

વિધાનસભાના ધેરાવાને લઇને કોંગ્રેસની રણનીતી મૂજબ મંજૂરી ન હોવા છતા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વિધાનસભા ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા. મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોની ગૃહ તરફ જતા અટકાવામાં આવ્યા હતા. પોલીસ વાનમાં મહિલા કાર્યકતાઓની પણ અટકાયત કરવામાં આવી હતી.

બહેરી મૂંગી સરાકાર સામે ખેડૂતોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો: અમિત ચાવડા
સરકાર ખેડૂતોના મુદ્દાઓ વિશે વિચારણા કરવા માટે તૈયાર નથી જેથી ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે. ખેડૂતોના મુદ્દાને લઇને વિધાનસભામાં કોંગ્રેસ સરકારનો ધેરાવો કરશે. ગાંધીનગર આવતા કોગ્રેસના કાર્યકરોને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. અને સભાની મંજૂરી મળી હોવા છતા પણ પોલીસ કાર્યકરોને ડરાવી ધમકાવી રહી છે.

આક્રોશ રેલીને સંબોધતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની ગુજરાતની જનતાને વાચા આપવા માટે એકઠા થયા છે. દર વખતે અહીં બધાને સપના બતાવવામાં આવે છે. અમે રોજગારી આપીશું, મોંઘવારી દૂર કરીશું, લોકપાલ લાવીશું, કાળું નાણું પાછું લાવીશ અને બધાના ખાતામાં 15 લાખ જમા કરાવીશું. પરંતુ આમાંથી એકપણ કામ ન થયું. ખેડૂતને આજથી દસ વર્ષ પહેલાં જે ભાવ મળતા હતા તેનાથી અડધા થઇ ગયા. કાળુનાણું જેટલું હતું એના કરતાં બમણું થયું. નોટબંધીના કારણે ભાજપનું કાળુનાણું સફેદ થઇ ગયું.

વિધાનસભા ગૃહના ગેટ નંબર 1 પર કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. ગેટ નંબર પર કોંગી કાર્યકરોને પ્રવેશ ન આપવામાં આવતા કોંગ્રેસના ધારસભ્યો, કાર્યકરો અને પોલીસ વચ્ચે ધર્ષણ થતાં ઝપાઝપીના દ્વશ્યો સર્જાયા હતા. વિધાનસભા ગૃહના ગેટ નંબર 1નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ થોડીવાર બાદ આ ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યના આઇકાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આક્રોશ રેલીમાં સિદ્ધાર્થ પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જેના મનમાં ખેડૂત માટે લાગણી કે ચિંતા નથી તે સરકાર ગુજરાતમાં કદાપિ ચાલી શકે છે તે વાસ્તવિકતા સમગ્ર ગુજરાતના ખેડૂતને સમજાઇ ગઇ છે. ખેડૂતોના અધિકાર માટેની લડાઇ કોંગ્રેસ લડી રહી છે. આક્રમકતા સાથે આજે આપણે વિધાનસભા સુધી પહોંચવાનું છે.

અટકાયત કરાયેલા કોંગ્રેસના તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે અમારી લડત હજુ પણ ચાલુ રહેશે, કોંગ્રેસ આંદોલનનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ કાર્યકરો વિધાનસભાનો ઘેરાવો કરવા જતા તે સમયે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x