હાથમતી જળાશયમાંથી રવિ સીઝન માટે પાણી છોડવામાં આવ્યું; પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના 49 ગામોના ખેડૂતોને થશે લાભ
રવિ સીઝનમાં સિંચાઈ માટે હાથમતી જળાશયમાંથી અ ઝોન બીજું પાણી પૂર્ણ થયા બાદ હવે બ અને ક ઝોનના ત્રણ તાલુકાના 49 ગામોના ખેડૂતો માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. પાંચ પાણી પૈકીનું બીજું પાણી શરુ કરાયું છે. મુખ્ય, માયનોર, સબ માયનોર કેનાલ થકી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે.
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સારા વરસાદને લઈને જળાશયોમાં પાણીની આવક થઇ હતી અને ત્રણ જળાશયો 100 ટકા ભરાયા છે. તો હાથમતી જળાશય સતત બીજા વર્ષે 100 ટકા ભરાયો છે. ત્યારે રવિ સીઝનમાં સિંચાઈ માટે પાંચ પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને હાથમતી જળાશયમાંથી અ ઝોનમાં બીજુ પાણી પૂર્ણ થયા બાદ હવે બ અને ક ઝોનના ત્રણ તાલુકાના 49 ગામોના ખેડૂતો માટે કેનાલમાં 170 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો જેને લઈને ત્રણ તાલુકામાં ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે.
આ અંગે હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે, રવિ સીઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યા બાદ ખેડૂતોને પ્રથમ પાણી પૂર્ણ થયા બાદ બીજું પાણી આપવાનું શરુ કરાયું છે. તો હાથમતી જળાશયમાંથી હિંમતનગરના હાથમતી વિયર થઈને હાથમતી કેનાલમાં થઈને બ અને ક ઝોનની મુખ્ય, માયનોર, સબ માયનોર કેનાલમાં 170 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો જેને લઈને પ્રાંતિજના તાલુકાના 30, દહેગામના 10 અને ગાંધીનગરના 9 જેટલા ગામોના ખેડૂતોને લાભ મળશે અને 300 કિમી કેનાલના 8 હજાર હેક્ટર કમાન્ડ વિસ્તારના 2500 હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે. જેથી પ્રાંતિજ, ગાંધીનગર, દહેગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.