કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થઈ શકે છે, ૫ નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં ૫ નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે. હવે તો આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગી શકે છે પણ રાજ્યમાં ભાજપમાં ફરી મંત્રી બનવાની રેસ લાગે તો નવાઈ નહીં. રાજ્યમાં ૧૫૬ ધારાસભ્યોની ઐતિહાસિક જીત બાદ ભાજપ માટે પણ કોને સમાવવા ને કોને બાકાત રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે. હાલના ૧૭ના મંત્રી મંડળમાં સરકાર ૨ કેબિનેટ અને ૩ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરી શકે છે. હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધીત્વ મળ્યું નથી. આ વિસ્તરણમાં આ પૂર્તિ કરી લેવાશે. રાજ્યમં મંત્રી બનવા માટે ભાજપના નેતાઓ હાલમાં તલપાપડ છે. જેઓ દિલ્હી સુધી એડીચૌટીનું જાર લગાવી રહ્યાં છે.
હાલમાં નાના મંત્રી મંડળના કારણે ભાજપના નેતાઓમાં ભારે અસંતોષ છે. આ અસંતોષની જ્વાળા હાઈકમાન સુધી પહોંચી છે. ડિસેમ્બર મહિનામાં એક દિવસીય વિધાનસભાના સત્ર પહેલાં અધ્યક્ષ, ઉપાધયક્ષ, મુખ્ય દંડક અને ૪ નાયબ દંડકની નિમણુંક કરાઈ હતી. હાલની સરકારમાં ૧૯ જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. હજુ ૧૪ જિલ્લા બાકાત છે. અગાઉ ઘણા નેતાને એમ હતું કે આ સરકારમાં તો સમાવેશ થશે પણ ઘણા રહી ગયા છે. હાલમાં માત્ર ધારાસભ્યોમાંથી માત્ર ૧૨ ટકાને સરકારમાં સ્થાન મળ્યું છે. હવે સરકાર નવા વિસ્તરણમાં બાકાત જિલ્લાઓના નેતાઓને ચાન્સ આપી શકે છે. ઘણા નેતાઓને લીલી પેનથી સહી કરવાના અભરખા છે.