ગાંધીનગર નાગરિક સહકારી બેન્કમાં વહીવટદાર નિમાયા
ગાંધીનગર નાગરિક સહકારી બેંકમાં કસ્ટોડિયન કમિટિ નિમાઈ છે. 7 સાતેક વર્ષ પછી ગાંધીનગર નાગરિક બેંકની ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત 2020માં જ પૂર્ણ થઈ હતી. જે માટે જાન્યુઆરી-2023માં 15 સભ્યોની વ્યવસ્થાપક કમિટી માટે 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી. જોકે સભાસદો દ્વારા ચૂંટણી પર રોક લગાવીને કસ્ટોડીયન નિમવા માટે અરજી થઈ હતી. જેની સામે બેંકના પૂર્વ હોદ્દેદારો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે મનાઈ હુકમ મળી શકે તેમ ન હોવાનું જણાવતા હવે બેંકમાં વહીવટદારો મુકાયા છે. રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર રાજેશ મહેતા દ્વારા નાગરિક બેંકના પાંચ સભાસદોની કસ્ટોડિયન કમિટિ નિમવા હુકમ કર્યો છે. કમિટીમાં રાંધેજાના રસિકભાઈ મણીભાઈ પટેલ, સેક્ટર-22ના પ્રહલાદભાઈ શંકરભાઈ પટેલ, લાલભાઈ ચતુરભાઈ પટેલ, સેક્ટર-8ના નિલેશ રમણલાલ પટેલ તથા સેક્ટર-2ના હસુમતીબેન રાજુભાઈ પટેલનો સમાવેશ કરાયો છે. કસ્ટોડિયન કમિટિની મુદ્દત એક વર્ષ અથવા નવી કમિટીની ચૂંટણી થાય ત્યાં સુધીની રહેશે. કમિટિએ સહકારી મંડળી રજિસ્ટ્રારની સૂચનાઓને ધ્યાને લઈને બેંકની કામગીરી કરવાની રહેશે.