20 માર્ચ વિશ્વ ચકલી દિવસ: ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયાન
બચપણથી “એક હતો ચકો અને એક હતી ચકી” વાર્તા સાંભળતા આવ્યા છીએ, ત્યારે ખરેખર આ વાત સાચી ન થઈ જાય,આપણી આવનારી પેઢીઓ માટે ચકલીનો ચીં ચીં અવાજ સાંભળવું દુર્લભ ન બની જાય તે આપણી જવાબદારી છે. એક સમય હતો કે, જ્યારે ચકલી ની ચીં ચીં ના અવાજ થી લોકોની સવાર પડતી હતી.નાનકડી અને વ્હાલી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતો.પરંતુ આજે આપણે ચકલીઓના આશિયાનાને વેરવિખેર કરી દીધા છે, અથવા એમ કહીએ કે માનવ જાત ને ચકલીની કોઈ ફીકર જ નથી રહી. આપણા જેમ આ ચકલીઓ ના પણ ઘર હોય છે. આજે ચકલી નું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી.ક્યારેક હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજે ગણીગાંઠી સંખ્યામાં જ બચી છે, ત્યારે લુપ્ત થતી ચકલીઓ ને બચાવવા એક નવી પહેલ જરુરી બની છે. જેમાં આપણે ચકલી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં, કાર પાર્કીંગની જગ્યાએ અથવા પતરાંના સેડ નીચે જ્યાં પણ ઠંડક વાળી સુરક્ષિત જગ્યા આપણા ઘરમાં હોય ત્યાં ખાલી ચંપલના બોક્ષ અથવા પૂંઠાના બોક્ષને સેલોટેપ લપેટીને તારથી બાંધી દઈ,કાગડા, સાપ, બિલાડી જેવા પરભક્ષીથી ચકલી અને તેના બચ્યાનું રક્ષણ કરી શકાય. ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ઘર આપીએ અને ચકલી બચાવો અભિયાનમાં સહભાગી બનીએ.
ચકલી ( ગૌરેયા ) બચાવો અભિયા
ચકલી એક એવું પક્ષી છે જેને જોઈ ને આપણે બધા મોટા થયા છીએ. ઘર ના આગણામાં સવાર થી સાંજ સુધી ચી ચી કરતી હતી. આ ચકલી જેને જોઈને આપણું બચપણ વીત્યું તે આજે મુશ્કેલીથી જોઇ શકાય છે. ક્યાં ગાયબ થઇ ગઇ આ સ્ફૂર્તિલી ચકલી ? શું ચકલી ના ગાયબ થવા માં આપણે માણસો જવાબદાર છીએ ? પૌરાણિક માન્યતા ને આધારે ચકલી એક શુભ પક્ષી છે, જે ઘર આંગણે ચકલીની ચીં ચીં રહે ત્યાં સુખ સમૃધ્ધિ અને શાંતિ બની રહે છે. આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચ ના દિવસ ને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષી ના બચાવ માટે જાગૃત થઈ શકે.
ચાલો ચકલી બચાવીએ , ખેડૂત ને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ
ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીન યુક્ત ખોરાકની જરૂર પડે છે. અને જયારે તેના બચ્ચયા થાય છે ત્યારે બચ્ચાને ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીન યુક્ત ખોરાક આપવો પડે છે. જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂત ના પાક ને નુકશાન કારક તત્વો જેવા કે ઈયળ , તીડ ને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચયાને પણ ખવડાવે છે.
જેનાથી ખેડૂતોના પાક ને નુકશાન કરતાં તત્વો નિયંત્રણ માં રહે છે, અને ખેડૂતો ને ઈયળ , તીડ ને મારવા માટે વાપરવા પડતા ઝેરી કેમિકલ વાપરવાની જરૂર પડતી નથી. જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદન માં વધારો થાય છે. જેથી કરીને માનવને આરોગ્યપ્રદ ખોરાક મળશે. અને આપણા દેશમાં કેમિકલ્સ મુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે.
પર્યાવરણની સુરક્ષાને સમાજ ના રીત રિવાજ સાથે જોડો
પર્યાવરણની જાળવણી માટે હવે માનવ જાતે કટિબદ્ધ થઈ ને કામ કરવાની જરૂર છે. પર્યાવરણ જાળવણી માટે હવે ફક્ત સરકારી રાહે કામ કરવું પૂરતું નથી, એટલે જ સંપૂર્ણ માનવજાતે નૈતિક જવાબદારી સમજી પર્યાવરણની જાળવણીની દીશામાં મહત્ત્વની ભૂમિકા ભજવવી પડશે.
આપણા ઘરે બાળક નો જન્મ થાય ત્યારે આપણા આનંદ નો પાર નથી રહેતો એવા સમયે આપણે હર્ષોલ્લાસની સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
– આપણા ઘરે ઉજવાતા જન્મ દિવસ, લગ્ન પ્રસંગ અને નાનાંમોટાં સામાજિક કૌટુંબિક પ્રસંગો સાથે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
– જ્યારે પણ આપણા ઘરના ઉંમર લાયક સભ્યનું મૃત્યું થાય તો તેમની આત્માની શાંતી માટે આપણે અનેક કામ કરીએ છીએ તો પછી આપણે ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ અને સાચા અર્થમાં શ્રદ્ધાજંલી અર્પણ કરીએ.
– જ્યારે પણ સારી નોકરી મળે નોકરીમાં પ્રમોશન મળે,ધંધા રોજગાર માં સારો ફાયદો થાય, આપણા જીવનમાં મળતી દરેક સફળતામાં ચકલીના ઘર બનાવડાવવાનો સંકલ્પ કરીએ.
પર્યાવરણ બચાવ,ચકલી બચી જશે
આપણા પરિવાર માટે દુનિયાની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી જ પડશે, તેથી આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇને પર્યાવરણને બચાવવા માટે એક પ્રયાસ કરીએ.
પર્યાવરણ અને વૃક્ષો અને પક્ષીઓની રક્ષા અને વિકાસ હેતુ અનેક સંસ્થાઓ અને સરકાર કાર્યરત છે. પ્રકૃતિએ મનુષ્યને ઘણું બધું આપ્યું છે, પરંતુ મનુષ્યએ પ્રકૃતિનો વિનાશ કરવામાં પાછું વળીને જોયું નથી. તેથીજ હવે આપણી આવનારી પેઢી માટે એક પ્રદુષણ મુક્ત વિશ્વના નિર્માણ માટે સહયોગી થઈએ. ઉદાર હાથે તન, મન અને ધન થી પ્રકૃતિ બચાવવા મદદરૂપ થવું જ પડશે.
શુ વિશ્વ સમુદાય જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી અજાણ છે ?કે પછી આપણે અજાણ હોવાનો ઢોંગ કરીએ છીએ કે પછી ખરેખર લોકોમાં જાણકારી નો અભાવ છે ?કારણ કોઈ પણ હોય પણ આખું વિશ્વ જગત એક સામુહિક વિનાશ તરફી જઈ રહ્યું છે. આજે પૈસા અને આર્થિક વિકાસના જોરે માનવજીવન થનગનાટ કરી રહ્યું છે, તે આવનારી પેઢીઓ માટે ગંદકી, પ્રદુષણ અને વિનાશની વિરાસત છોડી જશે.
આપણી પર્યાવરણને લઈને બેદરકારી આપણા બાળકોના ભવિષ્ય અને જીવનને બરબાદ કરી દેશે અને આપણી આવનારી પેઢી માટે સૌથી મોટો વિશ્વાસઘાત સાબિત થશે.
ધન્યવાદ કરવો જોઈએ એ સમાજના એક પર્યાવરણ પ્રેમી વર્ગ ને જે ખરેખર ચિંતિત છે, અને હંમેશા પ્રયત્નશીલ છે
વિશ્વસમુદાયને જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી બચાવવા કાર્યરત છે.
તો આવો સૌ જાગૃત બની થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. વૃક્ષો વાવી ચકલીથી માંડી આવનાર પેઢી સુધીનું જીવન બચાવીએ.
બચપણથી “એક હતો ચકો અને એક હતી ચકી” વાર્તા સાંભળતા આવ્યા છીએ, ત્યારે ખરેખર આ “એક હતો ચકો અને ચકી” વાત સાચી ન થઈ જાય,આપણી આવનારી પેઢીઓ માત્ર ચકલીઓ ને ફોટામાંજ જોઈ શકે અને ચકલીનો ચીં ચીં અવાજ સાંભળવું તેમના માટે દુર્લભ ન બની જાય તે માટે આપણે જવાબદારી પુર્વક ચકલી બચાવવા કાર્ય કરવું જ પડશે.