અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના, ક્રેન તૂટી પડતા ટ્રેન વ્યવહાર પ્રભાવિત
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગઇકાલે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગઇકાલે અમદાવાદના વટવા-રોપડા વિસ્તારમાં બુલેટ ટ્રેન માટે બ્રિજ ઊભા કરવાની કામગીરી વખતે અચાનક ક્રેન તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે, પરંતુ આ સિવાય કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.
બુલેટ ટ્રેનના પિલ્લર પર મૂકવામાં આવેલી ક્રેન અચાનક તૂટી પડી હતી, જેના કારણે નજીકમાંથી પસાર થતાં રેલવે ટ્રેકને નુકસાન થયું હતું. જેના કારણે મુંબઈ-અમદાવાદ રુટ પર દોડતી અનેક ટ્રેનોની અવર-જવરને અસર થઇ હતી. માહિતી મુજબ ગત રાત્રે જ વડોદરાથી અમદાવાદ તરફ જતી 10 જેટલી ટ્રેનો ખોરવાઈ ગઈ હતી, જેને વિવિધ સ્ટેશનોએ અટકાવી દેવામાં આવી હતી.
આ ક્રેન મોટી હોવાને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર આવેલ ઓવરહેડ વાયર તૂટી પડ્યો હતો, જેના લીધે અનેક ટ્રેનો ઠપ થઇ ગઇ હતી. માહિતી મુજબ હાલમાં અપલાઈન ચાલુ છે અને ડાઉન લાઈન પર દોડતી ટ્રેનો બંધ છે. ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા છે, જ્યારે કેટલીક ટ્રેનના રૂટ ડાઈવર્ટ કરી દેવામાં આવ્યા છે.