કપડવંજના બિસ્માર રોડ રસ્તાઓને કારણે લોકો પરેશાન
ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં છેલ્લા પાંચ મહિનાથી રોડ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે નગરજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંધારીયા વડ, રોહિત વાસ, રત્નાકર માતા રોડ સહિત અનેક વિસ્તારોમાં મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
નગરજનોનો આક્ષેપ છે કે નગરપાલિકા આ સમસ્યા પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે અને તેમની ફરિયાદો સાંભળવા પણ તૈયાર નથી. ચીફ ઓફિસર દ્વારા યોગ્ય કામગીરી પ્રત્યે ઉડાવ જવાબો આપતા હોવાનું નગરના જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. ટેક્સ ભરવા છતાં કપડવંજની ભોળી પ્રજા આ દુર્દશા સહન કરી રહી છે, જ્યારે ચૂંટાયેલા સદસ્યો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે.
નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે જાણે કપડવંજ ભગવાન ભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરજનોની પરેશાનીની કોઈ પડી નથી અને કોઈ પણ તેમની વાત સાંભળવા કે યોગ્ય જવાબ આપવા તૈયાર નથી.