ગાંધીનગરમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો: ૨૪ કલાકમાં છ નવા કેસ, કુલ ૨૧ દર્દીઓ
ગાંધીનગર: ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આજે બુધવારે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ છ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના પગલે આ નવી લહેરમાં કુલ સક્રિય દર્દીઓની સંખ્યા ૨૧ પર પહોંચી ગઈ છે. આ આંકડાઓએ આરોગ્ય તંત્ર અને નાગરિકોમાં ફરી ચિંતા પ્રસરાવી છે.આરોગ્ય વિભાગના સૂત્રો અનુસાર, સેક્ટર-૬ માં રહેતી એક ખાનગી નોકરી કરતી મહિલાને કફની તકલીફ હતી અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીઆઈડીસી વિસ્તારમાં રહેતી ૪૭ વર્ષીય મહિલા, જે તાજેતરમાં હૈદરાબાદથી પરત ફર્યા હતા, તેઓ પણ સંક્રમિત થયા છે. આ ઉપરાંત, રાયસનમાં રહેતી ૩૪ વર્ષીય સ્ટાફ નર્સ (ગાંધીનગર સિવિલ હોસ્પિટલ) અને રાંદેસણમાં રહેતો મેટ્રો આસિસ્ટન્ટ મેનેજર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ દર્દીઓને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે, જેમાં દંતાલી ગામના ૬૫ વર્ષીય વૃદ્ધ અને ડભોડાના ૪૯ વર્ષીય ખાનગી નોકરિયાતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.