કેન્યામાં ગમખ્વાર અકસ્માત: કેરળના પાંચ ભારતીય પર્યટકોના મોત
નૈરોબી: કેન્યામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં કેરળના પાંચ લોકોના મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટના ૯ જૂનના રોજ ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે ન્યારુરુ નજીક બની હતી, જે નૈરોબીથી આશરે ૧૫૦ કિલોમીટર દૂર આવેલું છે.
આ બસમાં કુલ ૨૮ ભારતીય પર્યટકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ કતારથી કેન્યાની મુલાકાતે આવ્યા હતા. દુર્ઘટનામાં અનેક યાત્રીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. રાહત અને બચાવ કાર્યમાં લોકા કેરળ સભા અને નોરકા રુટ્સ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં ઈજાગ્રસ્તોને ન્યારુરુમાં સારવાર આપવામાં આવી રહી છે અને તેમને જલદી જ નૈરોબી મોકલવામાં આવશે. કતારમાં સંચાલિત ભારતીય એમ્બેસીએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી અને કોઈપણ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.