ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માત: ૮ વર્ષીય બાળકીનું કરુણ મોત, ૪ ગંભીર ઇજાગ્રસ્ત
ગાંધીનગર: ગાંધીનગરના પ્રમુખનગર ચાર રસ્તાથી મહાત્મા મંદિર તરફ જતા રોડ પર થયેલા એક ગંભીર ટ્રિપલ અકસ્માતમાં એક આઠ વર્ષીય બાળકીનું કરુણ અવસાન થયું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં સંડોવાયેલા મીની ટ્રક અને રીક્ષા ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ખ-માર્ગ ઉપર એક ડમ્પરે અચાનક બ્રેક મારતા, પાછળ આવી રહેલી આઈસર મીની ટ્રક તેની સાથે અથડાઈ હતી. આ પછી, મીની ટ્રકની પાછળ આવી રહેલી રીક્ષા પણ અથડાઈને પલટી ગઈ હતી. રીક્ષામાં સવાર સેક્ટર ૨૪, શ્રીનગરના ગીતાબેન ઠાકોર, તેમની બહેનો ઉષા, જ્યોત્સનાબેન, અને પુત્રી કાવ્યા તથા જ્યોત્સનાબેનની પુત્રી શ્રેયાને ગંભીર ઈજાઓ થઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તમામને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ થતા કાવ્યાને અમદાવાદ સિવિલ રીફર કરાઈ હતી, જ્યાં રાત્રે તેનું મોત નીપજ્યું. અન્ય ઘાયલોમાં ગીતાબેનને પગમાં ફ્રેક્ચર, જ્યોત્સનાબેનને મણકામાં ફ્રેક્ચર, અને ઉષાબેનને છાતી-પેટના ભાગે ઈજાઓ થઈ હતી. રીક્ષા અને મીની ટ્રકના ચાલકોને પણ ઈજાઓ થઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.