‘રામ રાખે તેને કોણ ચાખે’: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ
અમદાવાદ: અમદાવાદમાં બનેલી ભયાવહ પ્લેન દુર્ઘટનામાં જ્યારે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે એક ચમત્કારિક ઘટના સામે આવી છે. ૪૦ વર્ષીય વિશ્વાસકુમાર રમેશ, જે સીટ નંબર ૧૧એ પર બેઠા હતા, તેમનો આ ભયાવહ અકસ્માતમાંથી આબાદ બચાવ થયો છે. હાલ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એર ઇન્ડિયાની બોઇંગ ૭૮૭-૮ ડ્રીમ લાઇનર ગુરુવારે બપોરે ૧:૩૯ વાગ્યે ટેક-ઓફ થઈ હતી અને ૧:૪૦ વાગ્યે ક્રેશ થઈ. વિશ્વાસકુમારે જણાવ્યું કે, ટેક-ઓફના ૩૦ સેકન્ડ બાદ જ જોરદાર અવાજ થયો અને પ્લેન ક્રેશ થયું. “બધું આંખના પલકારામાં થઈ ગયું. હું ઊભો થયો ત્યારે આસપાસ મૃતદેહના ઢગલા હતા. હું ખૂબ ડરી ગયો અને તરત જ દોડવા લાગ્યો. અચાનક કોઈએ મને પકડ્યો અને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડ્યો,” તેમ તેમણે ઉમેર્યું.
છેલ્લા ૨૦ વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા વિશ્વાસ દીવમાં પરિવારને મળવા આવ્યા હતા. તેમની સાથે તેમનો ભાઈ અજય કુમાર રમેશ પણ મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. વિશ્વાસે હૃદયદ્રાવક અપીલ કરતા કહ્યું, “પ્લીઝ, મારા ભાઈને શોધવામાં મદદ કરો.” આ ઘટના ખરેખર ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાર્થક કરે છે.