પ્લેન દુર્ઘટના બાદ અમદાવાદમાં શોકનો માહોલ: PM મોદીએ અસરગ્રસ્તોને સાંત્વના આપી
અમદાવાદ: આજે બપોરે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફ બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું, જેના કારણે વ્યાપક જાનહાનિ થઈ છે. આ કરુણ ઘટનાના સમાચાર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાને સૌપ્રથમ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચીને પીડિતોના પરિજનો અને ઇજાગ્રસ્તોને મળીને તેમને સાંત્વના આપી. ત્યારબાદ તેમણે ગુજસેલમાં મુખ્યમંત્રી સહિત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી, જ્યાં દુર્ઘટના અંગેની સંપૂર્ણ વિગતો મેળવવામાં આવી.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમની ઓળખ માટે કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ છે, જે આખી રાત ચાલી હતી. આ પ્રક્રિયા દ્વારા ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી પરિવારજનોને સુપરત કરવામાં આવી રહ્યા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બી. જે. મેડિકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ પણ થઈ છે, જેમાં બે ભાવનગરના અને એક ગ્વાલિયરનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીની પણ મુલાકાત લીધી અને તેમને સાંત્વના આપી. આ મુલાકાત દરમિયાન હર્ષ સંઘવી, સી. આર. પાટીલ અને રામમોહન નાયડુ પણ ઉપસ્થિત હતા.