સાબરકાંઠા-અરવલ્લી સ્કાઉટ ગાઈડની કારોબારી સભા: યોગ દિવસ, તાલીમ પર ભાર
હિંમતનગર: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની કારોબારી સભા તા. ૧૪ જૂન, ૨૦૨૫ના રોજ શનિવારે સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે યોજાઈ હતી. આ સભામાં અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતી સંગીતાબેન સોની અને સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ અમદાવાદ ખાતેના પ્લેન અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા ટ્રેનિંગ ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલે કારોબારીના તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જરે સમગ્ર વર્ષ દરમિયાનના કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને બંને જિલ્લાઓમાં વધુમાં વધુ બાળકો રાજ્ય પુરસ્કાર મેળવે તે માટેની કામગીરી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત દ્વારા એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં વર્ષ દરમિયાનના કાર્યક્રમો અને જુલાઈ માસમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઈડર ખાતે શિક્ષકો માટે યોજાનાર બેઝિક અને એડવાન્સ તાલીમ કોર્સની માહિતી આપવામાં આવી. ૨૧મી જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત ૧૫ જૂનથી ૨૦ જૂન દરમિયાન સ્કાઉટ ગાઈડ સંઘની પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા ગામો અને નગરોમાં જાહેર સ્થળો પર નાગરિકોને યોગ કરાવવાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી. સભાના અંતે, સ્કાઉટ ગાઈડના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ અને છણાવટ કરવામાં આવી હતી. અંતે, જિલ્લા રેંજર કમિશનર સોનલબેન ડામોરે આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. સભા બાદ તમામ કારોબારી સભ્યોએ સાથે ભોજન લીધું હતું.