રાજ્યમાં મેઘમહેર: સૌરાષ્ટ્ર જળબંબાકાર, ભાવનગરમાં ૧૦ ઇંચ વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ પહેલા જ વરસાદમાં સૌરાષ્ટ્રને ધમરોળ્યું, જ્યાં આજે રાતે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે, જેમાં જેસરમાં ૧૦.૧૨ ઇંચ, પાલીતાણામાં ૯.૭૨ ઇંચ, સિહોરમાં ૯.૬૧ ઇંચ અને મહુવામાં ૮.૫૪ ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝવેની રેલિંગ પણ ધોવાઈ ગઈ હતી.
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સાવરકુંડલામાં ૮.૨૭ ઇંચ, રાજુલામાં ૭.૨ ઇંચ અને અમરેલીમાં ૫.૨૪ ઇંચ વરસાદ પડ્યો. રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો હતો. નદીઓ બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાવરકુંડલાની નાવલી નદી સહિત અન્ય સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. આજે રાજ્યના ૧૮ તાલુકાઓમાં ૨ થી ૧૦ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.