અમદાવાદ પ્લેન દુર્ઘટના: ૮૩ મૃતદેહો સુપરત કરાયા
અમદાવાદ: ૧૨મી જૂને અમદાવાદમાં બનેલી કરુણ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ, મૃતદેહોને તેમના સ્વજનોને સુપરત કરવાની કાર્યવાહી ઝડપી ગતિએ ચાલી રહી છે. સોમવાર સાંજ સુધીના અહેવાલ મુજબ, કુલ ૧૨૫ DNA સેમ્પલ મેચ થયા છે, અને તેમાંથી ૮૩ મૃતદેહો તેમના પરિવારજનોને સન્માનપૂર્વક સુપરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ સંવેદનશીલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
જે મૃતદેહો સોંપાયા છે તેમાં અમદાવાદના ૨૩, વડોદરાના ૧૩, આણંદના ૯, મહેસાણા અને ગાંધીનગરના ૫-૫, ખેડાના ૩, અને જૂનાગઢ, અમરેલી, મહિસાગર, રાજકોટ, ઉદયપુર, જોધપુર, બોટાદ ખાતે ૧-૧ મૃતદેહનો સમાવેશ થાય છે.વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વીમા કંપનીઓ અને સરકારી કાર્યવાહીમાં સરળતા રહે તે માટે, જરૂરી દસ્તાવેજો અને પેઢીનામા સહિતની માહિતી પંચો અને સાક્ષીઓના આધારે તાત્કાલિક પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રક્રિયાને સુગમ બનાવવા માટે ૨૫૦થી વધુ નોડલ અધિકારીઓ અને ૮૫૫ વધારાના આરોગ્યકર્મીઓ તૈનાત છે, જેઓ પરિવારો સાથે સતત સંકલનમાં રહી તેમને આ મુશ્કેલ સમયમાં મદદ કરી રહ્યા છે.