શેરપુરમાં વારંવાર વીજળી ગુલ થતા ગ્રામજનોનો UGVC કચેરીએ ઉગ્ર વિરોધ
ઈડર: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના શેરપુર ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મંગળવારે વરસાદના માત્ર ચાર છાંટા પડતા જ સવારથી રાત સુધી વીજળી ગુલ થઈ જવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ઈડર સ્થિત યુ.જી.વી.સી.એલ (UGVCL) કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, મહેશ્વરી ફીડર બંધ કરવાની તેમની જૂની માંગણી હજુ સંતોષાઈ નથી. એટલું જ નહીં, AC સહિતના વીજ ઉપકરણો માટે વીજ લોડ વધારવા માટે જરૂરી કાયદેસરની રકમ ભરવા છતાં હજુ સુધી ડીપી (DP) મૂકવામાં આવી નથી. વારંવાર મેન્ટેનન્સ કરવા છતાં વીજ પુરવઠો અચાનક બંધ થઈ જાય છે અને આ મામલે યુ.જી.વી.સી.એલના અધિકારીઓને ફોન કરવા છતાં કોઈ પ્રતિસાદ મળતો નથી. ફરિયાદ માટેના ફોન પણ કોઈ ઉઠાવતું નથી જેવા ગંભીર આક્ષેપો લોકોએ યુ.જી.વી.સી.એલ સામે કર્યા હતા. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આ અંગે યુ.જી.વી.સી.એલ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઈડર યુ.જી.વી.સી.એલ કચેરી આગળ ચક્કાજામ કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ ઘટનાએ યુ.જી.વી.સી.એલની પ્રી-મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.