ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: સિવિલ હોસ્પિટલનું ઉત્તમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દરેક મૃતદેહને યુનિક ID

અમદાવાદ: તાજેતરમાં અમદાવાદમાં બનેલી AI 171 વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ તંત્રનું આપત્તિ વ્યવસ્થાપન અને ફોરેન્સિક તપાસ નોંધપાત્ર રહી છે. ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. ધર્મેશ સિલજિયાએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દરેક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું, જેનો શ્રેય સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને ફોરેન્સિક એક્સપર્ટ ટીમને જાય છે.

ડો. સિલજિયાએ વિગતો આપતા જણાવ્યું કે, વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું હતું, જેમાં તેમની શારીરિક અવસ્થા, ખાદ્ય પદાર્થોનું સેવન અને X-Ray તપાસ જેવી બાબતો પર ગંભીરતા દાખવવામાં આવી હતી, જેનાથી AAIBના અધિકારીઓએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. દુર્ઘટનાના અન્ય હતભાગીઓના મૃતદેહની ઓટોપ્સી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત માત્ર બાહ્ય પરીક્ષણ દ્વારા કરવામાં આવી હતી, કારણ કે મૃત્યુનું કારણ સ્પષ્ટ હતું. આ માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવીને જ આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

સિવિલ હોસ્પિટલ તંત્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કોઈ કચાશ રાખી ન હતી. દુર્ઘટના સ્થળ પરથી આવેલા દરેક મૃતદેહ, નાનામાં નાના અવશેષ અને તેમની સાથેની તમામ વસ્તુઓને એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ નોટ જેવા દસ્તાવેજોમાં પણ આ યુનિક નંબરનો જ ઉલ્લેખ થતો હતો. આ વ્યવસ્થાપન પદ્ધતિને કારણે DNA સેમ્પલ મેચ થતાં જ મૃતદેહ અને તેની સાથેની તમામ વસ્તુઓ સહેલાઈથી પરિવારજનોને સોંપી શકાઈ હતી.

ડો. ધર્મેશ સિલજિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, મોટી સંખ્યામાં મૃતદેહો અને નશ્વર અવશેષો હોવા છતાં, તમામના પોસ્ટમોર્ટમ અને DNA સેમ્પલિંગ નિયત ધારાધોરણો મુજબ થયા હતા અને કોઈ પણ શોર્ટકટ અપનાવવામાં આવ્યો ન હતો. આરોગ્ય સેવાના ૧૪૦ જેટલા તબીબોને આ ત્વરિત પ્રક્રિયા હાથ ધરવા માટે મોબિલાઇઝ કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ પ્રક્રિયા સિવિલ હોસ્પિટલની ફોરેન્સિક ટીમના વ્યાવસાયિક અભિગમ અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *