દિલ્હીમાં 1 જુલાઈથી જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ કે CNG
દિલ્હી: વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 જુલાઈ, 2025 થી, દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ અને CNG વાહનોને ઈંધણ આપવામાં આવશે નહીં. આ એન્ડ-ઓફ-લાઇફ (EOL) વાહનો ને ઓળખવા માટે પેટ્રોલ પંપ પર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવશે.
સરકારે આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ જાહેર કરી છે. ANPR સિસ્ટમ દ્વારા આવા વાહનોની ઓળખ થતાં જ, પંપ એટેન્ડન્ટ તેમને ઈંધણ આપવાનો ઇનકાર કરશે. જો કોઈ પેટ્રોલ પંપ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો મોટર વાહન એક્ટ, 1988 હેઠળ દંડ કરવામાં આવશે. આ ઉપરાંત, જૂના વાહનો રસ્તા પર મળી આવશે તો તેને જપ્ત પણ કરવામાં આવશે. આ કડક પગલાં દ્વારા દિલ્હી સરકાર સ્વચ્છ હવા અને સુધારેલા આરોગ્ય ધોરણોને પ્રોત્સાહન આપવા માંગે છે.