ગુજરાતના ૨૧૫ તાલુકામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને ગઇકાલે ૨૬ જૂનના રોજ રાજ્યના ૨૧૫ તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને જૂનાગઢના માળીયા હાટીનામાં ૬.૧૮ ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં ૬.૦ ઇંચ અને ગીર સોમનાથના તાલાલામાં ૫.૩૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી દીધી છે, જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે અને વાવણી કાર્ય પણ શરૂ થઈ ગયું છે. જોકે, શહેરી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩૦ જૂન સુધી રાજ્યમાં સારો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.