આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાંથી અફઘાનીઓને બહાર કાઢવાની પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી શરૂ થશે

પાકિસ્તાન સરકારે દેશમાં રહેતા લાખો અફઘાન નાગરિકોને બહાર કાઢવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. જે અફઘાની નાગરિકો પાસે ‘પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન’ (PoR) કાર્ડ છે અને જેઓ વર્ષોથી પાકિસ્તાનમાં શરણાર્થી તરીકે રહે છે, તેમને પણ પાછા મોકલવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન આશરે 13 લાખથી વધુ અફઘાનીઓને પાછા મોકલી શકે છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે તાજેતરમાં પાકિસ્તાન સરહદ પર તાલિબાન પાકિસ્તાન નામના સંગઠન દ્વારા હુમલા વધી રહ્યા છે અને બંને દેશો વચ્ચે તણાવ પણ વધ્યો છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, જે અફઘાન નાગરિકો સ્વૈચ્છિક રીતે દેશ છોડીને નહીં જાય તેમની ધરપકડ કરવામાં આવશે. પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે આ નિર્ણયના અમલ માટે તમામ પ્રાંતોના પોલીસ વડાઓ અને મુખ્ય સચિવોને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલા કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

આ પહેલા 31 જુલાઈએ પાકિસ્તાન સરકારે જાહેરાત કરી હતી કે PoR કાર્ડ ધરાવતા અફઘાન નાગરિકોના કાર્ડની મુદત 30 જૂને પૂરી થઈ ગઈ છે, તેથી તેઓ હવે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે. પાકિસ્તાનમાં અંદાજે 13 લાખ અફઘાનીઓ રહે છે, જેમાંથી મોટાભાગના ખૈબર પ્રાંતમાં છે, જ્યારે બાકીના બલુચિસ્તાન, સિંધ, ઇસ્લામાબાદ અને પંજાબ જેવા વિસ્તારોમાં વસે છે. પાકિસ્તાનના આ નિર્ણયની અસર લાખો અફઘાની પરિવારો પર પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *