ગાંધીનગરમાં બાળકોમાં વાયરલ રોગચાળો: સિવિલ હોસ્પિટલના વોર્ડ ફુલ
ગાંધીનગર: બદલાતા વાતાવરણને કારણે ગાંધીનગરમાં રોગચાળો ફેલાયો છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળ દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારો થયો છે, જેનાથી હોસ્પિટલના વોર્ડ ભરાઈ ગયા છે અને નવા વોર્ડ ખોલવાની ફરજ પડી છે.
છેલ્લા બે મહિનામાં દાખલ થયેલા બાળ દર્દીઓમાંથી ૫૦ ટકા કેસ ફક્ત સપ્ટેમ્બરના પ્રથમ ૧૦ દિવસમાં જ નોંધાયા છે. આ આંકડો ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. બે જનરલ વોર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને વધારાના બેડ ગોઠવવા પડ્યા છે. વાયરલ રોગચાળાને કારણે, ન્યુમોનિયા, શરદી, ખાંસી, કફ, તેમજ મેલેરિયા, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ અને ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. ગીત ગુંજનના જણાવ્યા અનુસાર, ડોક્ટરો રાત-દિવસ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, પરંતુ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ આ રોગોનો સરળતાથી શિકાર બની રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલે એક નવો વોર્ડ શરૂ કર્યો છે. તબીબોએ લોકોને સ્વચ્છતા જાળવવા અને માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવાની સલાહ આપી છે.