સાદરા ગુજરાત વિદ્યાપીઠમાં ‘ખેલ ભારતી-૨૦૨૫’નો પ્રારંભ, રાજ્યપાલ દેવવ્રતના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર નજીક આવેલા ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં આજે ત્રણ દિવસીય ‘ખેલ ભારતી-૨૦૨૫’ કાર્યક્રમનો પ્રારંભ થયો. ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મશાલ પ્રગટાવીને આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો.
કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૧૦૦થી વધુ બાળકોને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, બાળકોએ રોજિંદા જીવનમાં રમતગમતને અપનાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, રમતગમત બાળકોને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવે છે, મેદસ્વિતા અને ડિપ્રેશનથી દૂર રાખે છે. તેમણે બાળકોને તેમના માતા-પિતાને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને ઘરમાં ફક્ત સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવા પણ આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે આનાથી સ્વસ્થ અને વિકસિત ભારતનું નિર્માણ થશે.
પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને કહ્યું કે, રમતનું મેદાન જીવનના પાઠ શીખવે છે. તેમણે ઉમેર્યું કે, “રમતગમતમાં જીત કે હાર કાયમી નથી, પરંતુ રમતમાં ભાગ લેવો વધુ મહત્વપૂર્ણ છે.” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મલ્લખમ, તલવારબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોનું દિલ જીતી લીધું.