ગુજરાતને મળી પહેલી અમૃત ભારત એક્સપ્રેસ: ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર દોડશે
નવરાત્રિના તહેવાર વચ્ચે ગુજરાતના ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બરે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. રેલવે મંત્રી ઉધના રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સામાન્ય વર્ગના મુસાફરોને સસ્તી અને આરામદાયક મુસાફરી આપવાના હેતુથી શરૂ કરાયેલી આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ અને દરવાજો ખુલ્લો હોય તો ટ્રેન ચાલુ ન થવા દેતી સુરક્ષા સુવિધા સહિતની તમામ આધુનિક સુવિધાઓ છે.
અમૃત ભારત ટ્રેનના ઉદ્ઘાટન સમારોહમાં સુરત રેલવે સ્ટેશન પર સંપૂર્ણ અવ્યવસ્થા અને ઘર્ષણનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને ઓડિયા સમાજના લોકોની મોટી હાજરીને કારણે પરિસ્થિતિ વણસી હતી. અવ્યવસ્થાની ચરમસીમા ત્યારે આવી જ્યારે રેલવે અધિકારીઓ દ્વારા કવરેજ માટે બોલાવાયેલા મીડિયા કર્મચારીઓ માટેની જગ્યા પર અન્ય લોકો બેસી ગયા, જેના કારણે મીડિયા કર્મચારીઓ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. રેલવે પોલીસ આ ગેરવ્યવસ્થાને કાબૂમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ટ્રેન નંબર ૦૯૦૨૧/૦૯૦૨૨ તરીકે શરૂ થનારી આ ટ્રેન નિયમિત સેવા ૬ ઓક્ટોબરથી શરૂ કરશે.