લોકાર્પણના 48 કલાકમાં જ ખુલી ગઈ પોલ! અમિત શાહે લોકાર્પણ કરેલા સાદરા-અલુવા બ્રિજના એપ્રોચ રોડ પર પડ્યું મોટું ગાબડું
કેપિટલ દર્પણ / ગાંધીનગર
કરોડોના ખર્ચે બનેલા વિકાસકાર્યોની ગુણવત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે. માણસા તાલુકાના સાદરા-અલુવા ગામને જોડતા ₹89 કરોડના નવા બ્રિજનું 21 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 48 કલાકમાં જ બ્રિજને જોડતા એપ્રોચ રોડ પર મોટું ગાબડું પડતાં કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
23 જુલાઈના ભારે વરસાદ બાદ અલુવા તરફના એપ્રોચ રોડની માટી બેસી જતાં રોડનો એક ભાગ ધસી પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક સમારકામ શરૂ કરાયું હતું. અકસ્માત ટાળવા માટે વાહનવ્યવહાર વન-વે કરવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ઘટનાએ નવા બનેલા વિકાસકાર્યોની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

