અમદાવાદમાં NOC વિવાદ છતાં 3000 દુકાનોમાં ફટાકડાની ધમધોકાર ખરીદી
દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે, ગુજરાતમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટેના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાની સત્તાને લઈને ચાલી રહેલો વિવાદ આખરે થાળે પડ્યો છે. શહેરી વિકાસ વિભાગે છેલ્લી ઘડીએ આ સત્તા ફરી એકવાર ફાયર વિભાગને સોંપી દીધી છે.
અગાઉ 9 સપ્ટેમ્બર 2025ના રોજ ગૃહ વિભાગે 500 ચોરસ મીટરથી ઓછી જગ્યા ધરાવતા એકમોને ફાયર NOC આપવાની સત્તા પોલીસ કમિશનર દ્વારા કરાવવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો. જોકે, રાજ્યના ડીજીપીએ પોલીસ પાસે આવી ટેક્નિકલ બાબતો માટે પૂરતા માણસો કે કુશળતા ન હોવાની ટિપ્પણી કરતાં વિવાદ ઊભો થયો હતો.
આ વિવાદના પગલે, શહેરી વિકાસ વિભાગે નવો પરિપત્ર બહાર પાડીને 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા એકમો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને 500 ચોરસ મીટરથી ઓછા ક્ષેત્રફળ ધરાવતા એકમ માટે ફાયર સેફ્ટી NOC સહિતની તમામ સત્તા ફરી ફાયર વિભાગને સોંપી દીધી છે. સરકારી તંત્રની આ અનિર્ણાયક સ્થિતિ વચ્ચે અમદાવાદમાં રાયપુર અને દિલ્હી દરવાજા બહાર સહિત આશરે ત્રણ હજાર દુકાનોમાં ફટાકડાનું ધમધોકાર વેચાણ શરૂ થઈ ગયું છે.