‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે ગાંધીનગર જિલ્લામાં ડિજિટલ વસ્તી ગણતરીનો ભવ્ય પ્રારંભ
દેશ અને રાજ્યના સર્વાંગી વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી ‘વસ્તી ગણતરી-જનગણના-૨૦૨૭’નો આજથી સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં પણ વિધિવત પ્રારંભ થયો છે. ‘જનગણનાથી જન કલ્યાણ’ના રાષ્ટ્રીય મંત્રને સાર્થક કરવાના સંકલ્પ સાથે ગાંધીનગર ખાતેથી આ વસ્તી ગણતરીની પ્રક્રિયાનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો છે.
આ ડિજિટલ વસ્તી ગણતરીના પ્રારંભે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને નગરના પ્રથમ નાગરિક શ્રીમતી મીરાબેન પટેલની વિગતો ઓનલાઈન પોર્ટલ/ડિજિટલ માધ્યમથી નોંધીને આ રાષ્ટ્રીય ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી એ માત્ર નાગરિકોના આંકડા એકત્ર કરવાની પ્રક્રિયા નથી, પરંતુ દેશ અને રાજ્યના ભવિષ્યના વિકાસની યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓના સચોટ આયોજનનો મજબૂત આધાર છે. આ વખતે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થઈ રહી હોવાથી સમયનો બચાવ થશે અને ડેટા વધુ સચોટ બનશે.
મેયરશ્રીએ ગાંધીનગરના તમામ નગરજનોને આ મહાઅભિયાનમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પણ વસ્તી ગણતરીના અધિકારીઓ કે કર્મચારીઓ આપણા ઘરે આવે, ત્યારે તેમને પૂરેપૂરો સહકાર આપીને પોતાના પરિવારની એકેએક સચોટ અને સાચી વિગતો નોંધાવીએ. દેશ હિતના આ મહત્વપૂર્ણ કાર્યમાં આપણું સાચું યોગદાન આપીને એક જવાબદાર નાગરિક તરીકે ફરજ નિભાવીએ.
ઉલ્લેખનીય છે કે, તા. ૦૧ જૂન ૨૦૨૬થી શરૂ થયેલી આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી માટે સુવ્યવસ્થિત આયોજન અને સ્ટાફની નિયુક્તિ કરી દેવામાં આવી છે, જેથી નિયત સમયમર્યાદામાં સમગ્ર જિલ્લાની ડિજિટલ ગણતરી સુચારુ રૂપે પૂર્ણ કરી શકાય.

