ગાંધીનગરમાં કલા અને સંસ્કૃતિનો અનોખો સંગમ: ૨૧ ફેબ્રુઆરીથી ૩૧માં ‘વસંતોત્સવ’નો ભવ્ય પ્રારંભ
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો અને પાટનગરની આગવી ઓળખ સમાન ‘વસંતોત્સવ’ તેના ૩૧મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૧ ફેબ્રુઆરી ‘સાંસ્કૃતિક કુંજ’ ખાતે આ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે. ઉત્સવની મુખ્ય વિશેષતાઓની વાત કરવામાં આવે તો,ભારતીય લોકકલાનું પ્રદર્શન એ મુખ્ય આકર્ષણ છે.આ ૧૦ દિવસીય મહોત્સવમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના અંદાજે ૬૦૦થી વધુ લોકકલાકારો પોતાની કલા પીરસશે. આ ઉપરાંત હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને વેગ આપતા હસ્તકલા હાટ મેળામાં વિવિધ રાજ્યોના હસ્તકલાના નમૂનાઓ, ગ્રામીણ કલા અને પરંપરાગત ચીજવસ્તુઓના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે.જેમાં ખાણી-પીણી બજાર મુલાકાતીઓ માટે શુદ્ધ દેશી અને પ્રાદેશિક વાનગીઓનો રસાસ્વાદ માણવાની સુવર્ણ તક રહેશે.
ઉલ્લેખનીય છે કે, દરરોજ રાત્રે પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આયોજિત વિવિધ રાજ્યોના લોકનૃત્યો અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવશે.આ ઉત્સવનો લહાવો લેવા કલાપ્રેમીઓ તા. ૨૧ ફેબ્રુઆરીથી બપોરે ૨:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી પ્રદર્શન અને હાટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ દરરોજ રાત્રે ૭:૦૦ કલાકથી માણી શકશે. વસંતના આગમનને વધાવવા અને ભારતની વિવિધતાસભર સંસ્કૃતિને નજીકથી નિહાળવા માટે ગાંધીનગર અને આસપાસના નાગરિકોને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉત્સવ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ લુપ્ત થતી કલાઓને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ છે.

