ગાંધીનગર

ગાંધીનગરની સ્ટેટ મોડલ આયુર્વેદ હોસ્પિટલે ગંભીર ટાલિયાપણાની સમસ્યામાં અપાવી રાહત

ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક સ્તરે પુનઃસ્થાપિત કરવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ હંમેશા ભાર મૂક્યો છે. તેમના નેતૃત્વમાં ‘આયુષ’ મંત્રાલયની સ્થાપનાથી લઈને આયુર્વેદને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાના ભગીરથ પ્રયાસો થયા છે. પ્રધાનમંત્રીશ્રીનું માનવું છે કે, આયુર્વેદ એ માત્ર ઉપચાર નથી, પરંતુ જીવન જીવવાની એક સંપૂર્ણ કલા છે. તેમના આ વિઝનને પરિણામે જ આજે છેવાડાના માનવી સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલો દ્વારા શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચી રહી છે.ગાંધીનગરની આયુર્વેદ હોસ્પિટલ ની આ સફળતા એ વાતનું પ્રમાણ છે કે, જ્યારે સરકારની મક્કમ ઈચ્છાશક્તિ અને આયુર્વેદિક સિદ્ધાંતોનો સમન્વય થાય છે, ત્યારે અસાધ્ય રોગો પણ મટી શકે છે. આ સફળતા માત્ર એક દર્દીના વાળ ઉગવાની નાની ઘટના નથી, પરંતુ આધુનિક યુગમાં આયુર્વેદના વધતા પ્રભાવ અને જનમાનસમાં તેના પ્રત્યે જાગેલા અતૂટ વિશ્વાસની પ્રતીતિ છે.

ગાંધીનગરના કોલાવડા સ્થિત ‘સ્ટેટ મોડલ આયુર્વેદ કોલેજ’ સંલગ્ન સરકારી આયુર્વેદ હોસ્પિટલે આયુર્વેદની શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દાહોદ જિલ્લાની એક 34 વર્ષીય મહિલા, જે વર્ષોથી વાળ ખરવાની ગંભીર સમસ્યાથી પીડાતી હતી, તેમને આયુર્વેદિક સારવાર દ્વારા સફળતાનું નવું કિરણ મળ્યું છે. દર્દીના માથાના વાળ લગભગ સંપૂર્ણપણે ખરી ગયા હતા. તેમણે અગાઉ અનેક નિષ્ણાત તબીબોની સલાહ લીધી હતી અને વિવિધ મોંઘી સારવાર પદ્ધતિઓ અપનાવી હતી, પરંતુ કોઈ જ સચોટ પરિણામ મળ્યું નહોતું. આ લાંબા ગાળાની બીમારીને કારણે તે મહિલા ભારે માનસિક તણાવ, સામાજિક સંકોચ અને આત્મવિશ્વાસના અભાવનો સામનો કરી રહી હતી.

નિરાશ થયેલા દર્દી જ્યારે ગાંધીનગરની આ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આવ્યા, ત્યારે તેમને ‘ઇન્ડોર પેશન્ટ’ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસનું સંપૂર્ણ સંચાલન શાલક્ય તંત્ર વિભાગના વડા પ્રોફેસર કિરણ રાજની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પ્રોફેસર રાજે આયુર્વેદના શાસ્ત્રીય સિદ્ધાંતોને આધારે દર્દીની પ્રકૃતિ મુજબ એક વિશેષ અને વ્યક્તિગત સારવાર પદ્ધતિ તૈયાર કરી તેને અમલમાં મૂકી હતી. લગભગ છ મહિના સુધી ચાલેલી આ સઘન સારવારના પરિણામે ધીમે-ધીમે પણ મક્કમ સુધારો જોવા મળ્યો. જે ભાગમાં સંપૂર્ણ ટાલ પડી ગઈ હતી, ત્યાં કુદરતી રીતે નવા વાળ ઉગવાનું શરૂ થયું. ડિસ્ચાર્જ સમયે દર્દીની સ્થિતિ ક્લિનિકલ દ્રષ્ટિએ અત્યંત સંતોષકારક હતી. હોસ્પિટલ દ્વારા સારવાર પહેલા અને પછીના ફોટોગ્રાફ્સ દ્વારા આ સફળતાની પુષ્ટિ કરવામાં આવી છે, જે આયુર્વેદની ક્ષમતાનો જીવંત પુરાવો છે.
આ અંગે આયુર્વેદ પ્રોફેસરશ્રી કિરણ રાજે જણાવ્યું હતું કે,’જો વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવે, તો વર્ષો જૂની અને હઠીલી સમસ્યાઓમાં પણ કાયમી અને સચોટ પરિણામ મેળવી શકાય છે. આ સફળતા સરકારી આરોગ્ય પ્રણાલીમાં આયુર્વેદના વધતા પ્રભાવને દર્શાવે છે. જટિલ રોગોના નિવારણ માટે હવે લોકોનો ભરોસો આયુર્વેદ પર વધી રહ્યો છે તે આ ઘટના પરથી સાબિત થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *