ર૩ માર્ચ શહાદતનો એ સૂર્યોદય જેણે આઝાદીનો માર્ગ પ્રશસ્ત કર્યો
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક લડાઈઓ લડાઈ, પણ જે જુસ્સો અને ખુમારી ર૩ વર્ષના યુવાન ભગતસિંહ અને તેમના સાથીઓમાં હતી, તેણે આખા દેશની ચેતના જગાવી દીધી. આજે જ્યારે આપણે આઝાદીના શ્વાસ લઈએ છીએ, ત્યારે આ ત્રિપુટીના બલિદાનને નમન કરવાનો દિવસ છે. ભગતસિંહ માત્ર એક લડવૈયા નહોતા, પણ એક ઉચ્ચ કોટિના ચિંતક અને લેખક પણ હતા. તેમના હૃદયમાં દેશપ્રેમ એટલો ઊંડો હતો કે તેમની કલમ પણ પ્રેમની જગ્યાએ ક્રાંતિ જ લખતી. તેમના જ શબ્દોમાં કહીએ તો,
“લિખ રહા હૂં મૈં અંજામ જિસકા કલ આગાયેગા, મેરે વજૂદ કા હર એક કતરા ઇન્કલાબ લાયેગા…
જબ જબ મેરી કલમ ને ઇશ્ક લીખના ચાહા, તબ તક ઈન્કલાબ અપને આપ લિખ ગયા.”
આ પંક્તિઓ દર્શાવે છે કે તેમના માટે અંગત લાગણીઓ કરતા દેશહિત ઘણું મોટું હતું.
આજના યુવાનો માટે પ્રેરણા
આજે આપણે ગુલામીમાં નથી, પણ શું આપણે ખરેખર તે સપનાનું ભારત બનાવી શક્યા છીએ જેનું સપનું આ શહીદોએ જોયું હતું? આજના યુવાનો માટે ‘શહીદ દિવસ’ માત્ર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ.
ભગતસિંહે જેલમાં રહીને પણ વાંચન અને લેખન છોડ્યું નહીં. આજના યુવાનોએ પણ અજ્ઞાનતા સામે લડીને જ્ઞાનવાન બનવાની જરૂર છે.
તેમની શહીદોનો હેતુ માત્ર સત્તા પરિવર્તનનો નહોતો, પણ શોષણમુક્ત સમાજ બનાવવાનો હતો. સરહદ પર લડવું એ જ દેશપ્રેમ નથી, પણ ઈમાનદારીથી કામ કરવું, ભ્રષ્ટાચાર સામે લડવું અને સામાજિક જવાબદારી નિભાવવી એ પણ સાચો દેશપ્રેમ જ છે.
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનની સુગંધ આજે પણ ભારતીય માટીમાં મહેકે છે. ૨૩ માર્ચ આપણને યાદ અપાવે છે કે આઝાદી કોઈ ભેટ નથી, પણ લોહી રેડીને મેળવેલી અમાનત છે. ચાલો, આપણે પણ આપણા હૃદયમાં દેશપ્રેમની એ જ જ્યોત પ્રગટાવીએ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ ના નારાને સાર્થક કરીએ.

