ગાંધીનગર

માણસાના વિહાર ગામે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ ભવનનું લોકાર્પણ

ગાંધીનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માણસા તાલુકાની ૧૩૨ વર્ષ જૂની ઐતિહાસિક શ્રી વિહાર પ્રાથમિક શાળાને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું ભવન પ્રાપ્ત થયું છે. રાજ્ય સરકાર દ્વારા રૂપિ૨ બે કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ ભવનનું લોકાર્પણ શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
લોકાર્પણ બાદ પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે,આજે વિહાર ગામના બાળકો માટે રૂપિયા ૨ કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતું ભવન તૈયાર થયું છે, જે રાજ્ય સરકારનું બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટેનું રોકાણ છે. ૧૩૨ વર્ષ જૂની આ શાળાના જર્જરિત ઓરડાઓ ઇતિહાસ બની જશે. સરકાર રાજ્યમાં ક્યાંય પણ બાળકો જર્જરિત ઓરડામાં ભણે તે ચલાવી લેવા માંગતી નથી. તેથી જ છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યભરમાં ૫૨,૦૦૦થી વધુ નવાં વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા છે. વિહારમાં હવે આંગણવાડીથી ધોરણ ૧૦ સુધીની ઉત્તમ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ છે, જે સામાજિક સમરસતા અને વિકાસનું પ્રતિક છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,શાળા માત્ર ઈંટો અને સિમેન્ટનું મકાન નથી, પણ દેશના શ્રેષ્ઠ નાગરિકો ઘડવાનું કેન્દ્ર છે. વિહાર શાળાનાં બાળકો NMMS, જ્ઞાનસેતુ અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે તે ગૌરવની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત@2047’ ના સંકલ્પને સાકાર કરવા શિક્ષણ અનિવાર્ય છે. વાલીઓ અને ગ્રામજનોએ સાથે મળીને કન્યા શિક્ષણ અને સમાનતા પર ભાર મૂકવો જોઈએ.
આ અવસરે ગામના જે દાતાશ્રીઓએ રૂપિયા ૧૫ લાખથી વધુની રકમનું માતબર દાન આપીને સહયોગ આપ્યો છે તે બદલ મંત્રી શ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ શાળાના નવનિર્માણમાં સહયોગ આપનાર કુલ ૩૨ દાતાશ્રીઓનો સત્કાર કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાંથી આઠ દાતાશ્રીઓનું મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, જિલ્લા પક્ષ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી સરકારના શિક્ષણલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ડાયેટ ગાંધીનગરના પ્રાચાર્ય શ્રી હિતેશભાઈ દવેએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ લોકાર્પણ અવસરે ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રીમતી સીતાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પીયૂષભાઈ, પંચાયતના સભ્યો, એસ.એમ.સી. કમિટીના સભ્યો, દાતાશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેના ઉત્સાહ અને લોકભાગીદારીના સંગમ સમાન બની રહ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *