ગાંધીનગર

૨૦૩૬ ઓલિમ્પિકના સંકલ્પ અને શહીદ વંદના સાથે વાર્ષિક રમતોત્સવ ૨૦૨૬ સંપન્ન

ગુજરાત રાજ્યના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક રમતોત્સવ ૨૦૨૫-૨૬નું સમાપન ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) ખાતે ભવ્ય રીતે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના નાણાં, ગૃહ, આબકારી અને નાગરિક સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે ઉપસ્થિત રહી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સમાપન સમારોહમાં ખેલાડીઓને પ્રેરક ઉદબોધન આપતા મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હોમગાર્ડના જવાનો અને ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે,આજે હોમગાર્ડના જવાનોની અંદર જે ખેલદિલી, રમત અને તાકાત છુપાયેલી છે, તેની એક ઝાંખી આ ઇનામ વિતરણ અને સમાપન કાર્યક્રમમાં સ્પષ્ટપણે જોવા મળી છે. વધુમાં તેમણે ખેલાડીઓને પ્રેરણા આપતા ઉમેર્યું હતું કે, મેદાનમાં રહીશું તો બધું જ પ્રાપ્ત થશે, મેદાન છોડનારા કદી જીતતા નથી. આ સંદર્ભમાં તેમણે મહાભારતનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, શ્રીકૃષ્ણએ અર્જુનને મેદાન ન છોડવા માટે જે પ્રેરણાદાયી બોધ આપ્યો હતો, તેને અનુસરીને આપણે પણ હંમેશા મેદાનમાં આગેકૂચ કરવી જોઈએ. આજે શહીદ દિવસ હોવાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,ભારતની આઝાદી માટે જેણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે અને પોતાના બલિદાન થકી આપણને નવજીવન આપ્યું છે, તેવા ભારતમાતાના વીર સપૂતોને તેમના બલિદાન દિવસે નતમસ્ત વંદન કરીને આપણે સૌ સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ.
તેમણે ખેલાડીઓને એમ પણ જણાવ્યું હતું કે, રમતગમત માત્ર જીતવા કે સ્પર્ધા માટે નથી, પરંતુ તે ભાઈચારો વધારવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. પોલીસ વિભાગનું ધ્યેય વાક્ય ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ છે. આ જ ઉદ્દેશ્ય સાથે આપણે સૌએ આગળ વધવાનું છે, તો જ આપણે ભારતની એકતા, અખંડિતતા અને શાંતિને જાળવી રાખવામાં આપણી ભૂમિકા ભજવી શકીશું. ૨૪ કલાક ફરજ પર કાર્યરત હોવા છતાં રમતગમત માટે આપે જે સમય ફાળવ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. અંતમાં તેમણે વડાપ્રધાનશ્રીના ‘ખેલ મહાકુંભ’, ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ થી લઈને ‘ખેલેગા ઇન્ડિયા’ સુધીના કન્સેપ્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, આ અભિયાનો થકી જ આપણે અંતરિયાળ ગામોમાંથી રમતવીરોનું કૌવત બહાર લાવી શક્યા છીએ, જેના પરિણામે સરિતા ગાયકવાડ જેવા ધુરંધર રમતવીરો આપણને મળ્યા છે. રમતગમત જગત થકી સમાજને વ્યસનમુક્ત કરવા, મેદસ્વીતા દૂર કરવા તથા ડાયાબિટીસ જેવા શારીરિક અને માનસિક રોગોથી મુક્તિ મેળવવા માટે મેદાનમાં ઉતરવું જરૂરી છે.રમતગમતથી કુવિચારો દૂર થાય છે અને મેદાનમાં ઊભા રહેવાથી ‘સ્પોર્ટ્સમેન સ્પિરિટ’ની અનુભૂતિ થાય છે. આ રમતોત્સવમાં મેળવેલા મેડલ્સ એ ખેલાડીઓની મહેનત, સમર્પણ અને સંકલ્પનો જીવંત પુરાવો છે.

આ અવસરે સ્વાગત પ્રવચન કરતા હોમગાર્ડઝના કમાન્ડન્ટ જનરલ શ્રી શમશેર સિંહે જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રીના ‘ખેલ મહાકુંભ’ અને ‘રમશે ગુજરાત’ જેવા અભિયાનોને કારણે આજે ગુજરાતના યુવાનો રમત જગતમાં આગળ વધી રહ્યા છે. આ રમતોત્સવ એ ૨૦૩૦ના કોમનવેલ્થ અને ૨૦૩૬ના ઓલિમ્પિક માટેની પૂર્વતૈયારીનો જ એક ભાગ છે. શારીરિક શ્રમ અને માનસિક ચપળતા એ આપણા જવાનો માટે અનિવાર્ય છે.અને તે વધારવાનું કામ રમતો કરે છે. આ રમતોત્સવમાં ગુજરાતના ચાર ઝોન – ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માંથી હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના મહિલા તથા પુરુષ ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન ૧૦૦, ૨૦૦ અને ૪૦૦ મીટરની દોડ, રસ્સા ખેંચ, ગોળા ફેંક અને વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ અને દેશભક્તિ યુકત વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હોમગાર્ડઝ અને જી.આર.ડી.ના જવાનો દ્વારા યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ખેલેગા ઇન્ડિયા’, ‘સ્વચ્છતા અભિયાન’, ‘પાણી બચાવો’ અને ‘સ્વદેશી અભિયાન’ જેવા રાષ્ટ્રહિતના નારા સાથે જનજાગૃતિ ફેલાવવાનો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *