ગાંધીનગર જિલ્લાના પ્રભારી સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
ગાંધીનગર તા.૦૮ એપ્રિલ-
રાજ્યના વન પર્યાવરણ વિભાગના અગ્રસચિવશ્રી તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી ડો.વિનોદ રાવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર કચેરી, મહાનગરપાલિકા, પંચાયત તથા પાણી પુરવઠા બોર્ડ અને સિંચાઈ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન થકી જિલ્લાના વિકાસ કાર્યોની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સચિવશ્રીએ વિશેષતમ જળ વ્યવસ્થાપન, જિલ્લાના દરેક વિસ્તાર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા, તળાવોના રિ-ડેવલપમેન્ટ, તેના થકી ભૂગર્ભ જળ ક્ષમતામાં વધારો અને અલ્ટરનેટિવ રિવરફ્રન્ટ કોન્સેપ્ટ અંગે વિશેષ ચર્ચા કરી હતી. આ સાથે તેમણે જિલ્લામાં સામાજિક વનીકરણ દ્વારા ગ્રીન કવર વધારવાના નવીનતમ પ્રયાસો માટે મહત્વના સૂચનો કર્યા હતા.
સચિવ શ્રી રાવએ સિમેન્ટલેસ તળાવ અને ઘનિષ્ઠ વનીકરણ તથા ભૂગર્ભજળ સંગ્રહ પર ભાર મૂકી કુદરતી અને પ્રાકૃતિક પદ્ધતિના ઉપયોગ થકી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ અગ્ર થવા જણાવ્યું હતું. આ તકે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન. વાઘેલા તથા સિંચાઈ વિભાગના અધિકારીશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલ વિશેષતમ કામગીરી રજૂ કરી, વનીકરણ, સિંચાઈ તથા અન્ય વિકાસ કાર્યો વિશે આગામી વિકાસ કાર્યોનો રોડ મેપ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં કલેકટર શ્રી રવીન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, અધિક કલેક્ટર શ્રી એન.આર. શર્મા તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

