રિલાયન્સના શ્રી અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રૂ.૩૦ કરોડનું અનુદાન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવતા ભક્તો તથા યાત્રાળુઓની સુવિધા માટે અદ્યતન યાત્રી ભવન (ગેસ્ટ હાઉસ)ના નિર્માણ માટે કુલ રૂ. ૩૦ કરોડનું આર્થિક અનુદાન જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રી અનંત અંબાણી શ્રી દ્વારકાધીશજી પ્રત્યે અત્યંત ગાઢ શ્રદ્ધા અને અખંડ ભક્તિ ધરાવે છે અને આ ભક્તિ તથા કૃતજ્ઞતાથી પ્રેરાઈને અત્યંત વિનમ્રતાપૂર્વક જાહેર થયેલ આ નિ:સ્વાર્થ અનંત સેવાનો શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા સાભાર સ્વીકાર કરવામાં આવ્યો છે.
શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતી દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ અંબાણી પરિવાર પર નિરંતર વરસતા રહે અને ભક્તજનોના વિશાળ સમુદાયની સેવા માટેનાં આવા સત્કાર્યો તેઓના હસ્તે થતાં રહે તેવી શુભકામના પાઠવાઈ છે. ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા યાત્રાળુઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે તે સમયે યાત્રાધામમાં જરૂરી યાત્રી નિવાસનું નિર્માણ આ અનુદાનથી થશે જે ખરા અર્થમાં યાત્રાળુઓના કલ્યાણનું એક ઉમદા કાર્ય બની રહેશે એવી શ્રધ્ધા સમિતી દ્વારા વ્યકત કરવામાં આવી છે.

