કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શાહના હસ્તે ગાંધીનગર મનપાના ૬૨૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ રૂ. ૬૨૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસયાત્રા ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા કામોમાં પેથાપુર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, લાયબ્રેરી, પીએસસી-સીએસસી કેન્દ્રો, અને સીમેન્ટના રોડ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
તેમણે ગુજરાત સરકાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે શહેરના નાગરિકોની સુખાકારી માટે ગટરના પાણીના શુદ્ધિકરણ, તળાવોના બ્યુટીફિકેશન, નર્મદાનું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોંચાડવા અને યોગ કેન્દ્રો જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. અહંકાર નહીં આત્મવિશ્વાસ એ અમારી સરકારની ઓળખ છે તેમ કહેતા તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન ભાજપના કાર્યકરોએ પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરી છે. ફૂડ કિટ પહોંચાડવાથી લઈને વેક્સિનેશનની વ્યવસ્થા સુધીની કામગીરીએ જનતામાં પક્ષ પ્રત્યે અતૂટ વિશ્વાસ જગાડ્યો છે.તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનો વિજય એ જનતાનો વિકાસ પરનો ભરોસો છે.
તેમણે બંગાળની સ્થિતિ અને વિકાસની સરખામણી કરતા જણાવ્યું કે, આજે દેશના ૮૦ ટકા વિસ્તારમાં ભાજપ અને એનડીએની સરકાર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર એનડીએ સરકાર બની છે જે કાર્યકરોની તપસ્યા અને પરિશ્રમનું પરિણામ છે. તેમણે ગાંધીનગરને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવા અને સૌથી સુંદર અને સુવિધાયુક્ત લોકસભા વિસ્તાર બનાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, શહેરોના ડેવલપમેન્ટ પ્લાનિંગમાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ગ્રીન એન્વાર્યમેન્ટ વાળા પોલ્યુશન ફ્રી, ગાર્બેજ ફ્રી અને સ્લમ ફ્રી સિટી બને તેવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ નિર્ધાર અને વિઝનને અનુરૂપ હવે નાના શહેરો અને તેની આસપાસના વિસ્તારને “સિટી ઇકોનોમિક રિજન” તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં શ્રી અમિતભાઈ શાહે લોંગટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા અપનાવીને ગાંધીનગર લોકસભા મત વિસ્તારને સૌથી વધુ હરીયાળો સંસદીય મત વિસ્તાર બનાવવાનું સુદ્રઢ આયોજન કર્યુ છે. એમાં ગ્રીન સિટીની ઓળખ ધરાવતા ગાંધીનગર મહાનગરપાલિકામાં આ વર્ષે પાંચ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસ કામોનો ધરમૂળથી કાયાકલ્પ કર્યો છે અને શહેરી વિકાસની ગતિ વધારી છે. એક સમયે નગરપાલિકા-મહાનગરપાલિકાના આખા વર્ષના બજેટની રકમ જેટલી રકમના વિકાસ કામો આજે એક જ દિવસમાં થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સાંસદ શ્રી અમિતભાઈ શાહની જોડીએ સુરાજ્ય-ગુડ ગવર્નન્સની લોકોને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. શ્રી અમિતભાઈ શાહ જ્યારે જ્યારે પોતાના લોકસભા મત વિસ્તારમાં આવે છે ત્યારે લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતા અનેક વિકાસ કામોની ભેટ આપે છે તેનો પણ મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.
તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આ વિઝનને અનુરૂપ અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તાર સરખેજ-ધોલેરા સેમિહાઇસ્પીડ રેલ લાઇન માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટની મંજૂરી આપી છે તે અંગે મુખ્યમંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર સંસદીય મત ક્ષેત્રને દેશના સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખી છે. તેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં નવા વિકસી રહેલા વિસ્તારો સહિત પાટનગરને ડ્રેનેજ, પમ્પીંગ સ્ટેશન, લેક બ્યુટી ફિકેશન, લાઈબ્રેરી, રોડ ડેવલપમેન્ટ, હેલ્થ સેન્ટર જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના 26 કામોના ખાતમૂર્હત અને 21ના લોકાર્પણના 620 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો ગાંધીનગર મહાનગરપાલિકાને ભેટ આપ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને નાગરિક દાયિત્વના ભાગ રૂપે જે અપીલ કરી છે તેનું પાલન કરીને આગળ વધવા અનુરોધ કર્યો હતો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર શહેર વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, તેમ પાટનગરના મેયરશ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું. મેયરશ્રીએ ઉમેર્યું કે, ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘સબકા સાથ સબકા વિકાસ’ના મંત્રને સાર્થક કરવા મહાનગરપાલિકા નાગરિકોની સુખાકારી માટે સતત કાર્યરત છે.
આ વિકાસકાર્યો અંતર્ગત શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ગાર્ડન ડેવલપમેન્ટ, ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાના નિવારણ માટે ઓવરહેડ ટાંકી અને વિતરણ નેટવર્ક, નજીકમાં જ તબીબી સુવિધા મળી રહે તે માટે અર્બન હેલ્થ સેન્ટરો, યોગા સ્ટુડિયો, શોપિંગ સેન્ટરો અને નવી વોર્ડ ઓફિસ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વધુમાં, વડાપ્રધાનશ્રીની જાહેર જીવનમાં કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલને સ્વીકારીને મનપાએ ઓછા ખર્ચે શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર કામ કરવાનો સંકલ્પ કર્યો છે. અંતમાં તેમણે ગાંધીનગરને દેશનું સૌથી સ્વચ્છ, સ્માર્ટ, સુરક્ષિત અને સર્વાંગી સક્ષમ પાટનગર બનાવવા માટે સૌ નાગરિકોને આ વિકાસ યજ્ઞમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલે સ્વાગત પ્રવચન સાથે ગાંધીનગરની વિકાસ યાત્રાની હરણફાળને જણાવતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, જેમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આગળ ધપાવી છે. ગાંધીનગર શિક્ષણ ક્ષેત્રે હબ બનીને ઉભરી આવ્યું છે. આજે આરોગ્ય ક્ષેત્રે સિવિલ હોસ્પિટલ, પીએચસી સહિત પર્યાવરણથી લઈ જળ વ્યવસ્થાપન, ગટર વ્યવસ્થા વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓનું નવા જોડાયેલા વિસ્તારોમાં પણ નિર્માણ થયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા હતા જેમાં પ્રજાની આરોગ્ય સુખાકારી માટે સેક્ટર-૨૧, ૨૨ અને સરગાસણ ખાતે નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરો, સેક્ટર-૨૫ અને સરગાસણ ખાતે આધુનિક યોગ સ્ટુડિયો તેમજ ભાટ અને ઝુંડાલ ખાતે પી.એચ.સી. સેન્ટરોનું લોકાર્પણ, પેથાપુર ખાતે પીવાના શુદ્ધ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક સાથેની ૨ નવી ઓવરહેડ ટાંકી, રાંધેજા ખાતે જી.એમ.સી. વોર્ડ ઓફિસ અને શોપિંગ સેન્ટર, અમિયાપુર ખાતે ભવ્ય કોમ્યુનિટી હોલ તેમજ સેક્ટર-૧ ખાતે નયનરમ્ય ગાર્ડન વિકાસ, નાગરિકોની સુવિધા અર્થે મહાનગર પાલિકા દ્વારા વિવિધ પ્રકારના કુલ ૩૭ અત્યાધુનિક વાહનો, જેવા કે બેકહો લોડર, ઇમરજન્સી રેસ્ક્યુ વાહનો, હોપર ટિપર ડમ્પર, મીની યુ.એચ.પી. મશીનો અને વોટર બાઉઝરની સુવિધાઓ પણ આજથી સેવામાં કાર્યરત થશે.
જ્યારે નાગરિકોની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને દૂરોગામી પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કરાયા હતા જેમાં અંદાજે ₹૧૩૫ કરોડના ખર્ચે જાસપુર ખાતે ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતાવાળો અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને નવું ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન, પેથાપુર ખાતે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યોગા સેન્ટર અને ડિજિટલ લાયબ્રેરી તેમજ કોબા અને પેથાપુર ખાતે નવા કોમ્યુનિટી હોલના નિર્માણ,રક્ષાશક્તિ ફ્લાયઓવરથી ધોળેશ્વર મહાદેવ બ્રિજ સુધીનો ગાંધીનગર બાયપાસ રોડ, કોબા સર્કલથી પંચેશ્વર સર્કલ સુધીનો રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સેક્ટર-૨૭ ગાયત્રીનગરના બગીચાનું નવીનીકરણ, સેક્ટર-૨૫ ના તળાવનું સૌંદર્યીકરણ તેમજ કુડાસણ, રાયસણ અને સરગાસણ સહિતના વિવિધ ટી.પી. વિસ્તારોમાં નવા આંતરિક માર્ગોના નિર્માણની પ્રક્રિયા વેગવંતી બનશે. આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્ર ખતાલે, મ્યુનિ.કમિશનરશ્રી જે.એન.વાઘેલા, ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

