માણસા તાલુકાના આજોલ ગામમાં ‘૧૯૬૨’ પશુ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી
ગાંધીનગર
માનવીય સંવેદના થકી પશુઓની સારવાર માટે પણ રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે એટલે જ રાજય સરકારના પશુપાલન ખાતા અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ (EMRI Green Health Services) દ્વારા પશુઓને પણ ત્વરિત સારવાર મળી રહે એ માટે ‘૧૯૬૨’ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરી છે. આ સેવા હેઠળ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું રાજ્યમાં રખડતા, અનાથ અને નિસહાય પશુ-પક્ષીઓની સારવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આવી જ એક સંવેદનશીલ અને સરાહનીય કામગીરી આજે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના આજોલ ગામમાં જોવા મળી છે.
આજોલ ગામના પશુપાલક શ્રી કનુભાઈ પટેલનો બળદ ‘હોર્ન કેન્સર’ (શીંગડાનું કેન્સર) જેવી અત્યંત ગંભીર અને પીડાદાયક બીમારીથી પીડાતો હતો. પશુની આ ગંભીર સ્થિતિ જોઈને કનુભાઈએ ગત શનિવારના રોજ ૧૯૬૨ હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી હતી.માહિતી મળતા જ આજોલ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાના ડૉ. યશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પશુની તપાસ કરી હતી. બીમારીની ગંભીરતા જોતા સોમવારે ઓપરેશન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું, અને પશુપાલકને રવિવાર સાંજથી જ બળદને ભૂખ્યો રાખવા માટે જરૂરી તબીબી સૂચના આપવામાં આવી હતી.
આજે ડૉ. યશ પટેલ અને પાયલોટ કમ એટેન્ડન્ટ શ્રી અનિલભાઈ સોલંકીની ટીમે સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ બળદનું હોર્ન કેન્સરનું સફળ ઓપરેશન કરી તેને આ અસહ્ય પીડામાંથી કાયમી રાહત અપાવી હતી. ઓપરેશન બાદ પશુને જરૂરી દવાઓ અને સારવાર આપવામાં આવી હતી, તેમજ પશુપાલકને દરરોજ ૧૯૬૨ પર કેસ નોંધાવીને ડ્રેસિંગ કરાવવા માટેની જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. મુકેશભાઈ જેવા અનેક પશુપાલકો માટે ‘૧૯૬૨’ ની આ સેવાઓ ખરા અર્થમાં મૂંગા પશુઓના આંસુ લૂછવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે.

