ગાંધીનગર તાલુકાના ગિયોડથી વિધાનસભા ઉપાધ્યક્ષ પુર્ણેશભાઈ મોદી એ કરાવ્યો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
સમગ્ર ગુજરાતની સાથે પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ આજે ત્રિદિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. જેના ભાગરૂપે ગાંધીનગર તાલુકાની ગિયોડ પ્રાથમિક શાળા તથા શેઠ કે. એમ. સર્વોદય હાઈસ્કૂલ, છાલા ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી, બાળવાટિકા તેમજ શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અને રમકડાં અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ગિયોડ ખાતે આંગણવાડીના કુલ ૧૧ અને બાળવાટિકાના ૧૮ ભૂલકાંઓને રમકડાંની કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો.
આ ઉપરાંત, છાલા ખાતે શેઠ કે. એમ. હાઈસ્કૂલમાં યોજાયેલા પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ-૯માં પ્રવેશ મેળવનાર ૧૭૨ અને ધોરણ-૧૧ના ૧૩૦ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તે જ રીતે છાલા કુમાર પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૨૬, બાળવાટિકાના ૪૪ અને ધોરણ-૧ માં ૧૦ બાળકો,મહાદેવપુરા પ્રાથમિક શાળાના આંગણવાડીના ૪ અને બાળવાટિકાના ૪ બાળકો તેમજ છાલા કન્યા પ્રાથમિક શાળા ખાતે બાળવાટિકાની ૩૩ વિદ્યાર્થીનીઓનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરી તેમના શૈક્ષણિક જીવનનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ‘શાળા પ્રવેશોત્સવ’ યોજનાના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે શિક્ષણ ક્ષેત્રે આવેલા અભૂતપૂર્વ બદલાવની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગરીબી નિર્મૂલન અને શિક્ષણના સ્તરને સુધારવા માટે તેમણે પાયાનું કાર્ય કર્યું હતું.
ભૂતકાળની પરિસ્થિતિને વાગોળતા તેમણે ઉમેર્યું કે, અગાઉ ધોરણ-૧ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાંથી આશરે ૫૦ ટકા જેટલા બાળકો ધોરણ-૯ સુધી પહોંચતા-પહોંચતા આર્થિક સંકડામણ કે અન્ય મજૂરીકામને લીધે ભણવાનું છોડી દેતા હતા. આ ડ્રોપ-આઉટ રેશિયો અત્યંત ચિંતાજનક હતો. આ ચિંતાજનક પરિસ્થિતિને બદલવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મે મહિનાના ધોમધખતા ઉનાળામાં વેકેશન માણવાના બદલે સમગ્ર સરકારી તંત્રને કામે લગાડ્યું હતું. આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, કમિશનર, સચિવો, ધારાસભ્યો અને સાંસદો સહિત આખું મંત્રીમંડળ શિક્ષણના આ મહાયજ્ઞ માટે ગામે-ગામ પહોંચ્યું હતું. શ્રી પૂર્ણેશભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે, ડાંગ, તાપી અને નર્મદા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ધોમધખતા તાપની પરવા કર્યા વિના તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ ઘર અને ગલીઓ ખૂંદીને વાલીઓ પાસે ભિક્ષામાં માત્ર એક જ વચન માગ્યું હતું કે, “તમે તમારા બાળકોને શાળાએ મોકલો અને તેમને ભણાવો.”
ઉપરાંત વાલીઓ પર આર્થિક બોજ ન પડે તે માટે સરકારે મફત ગણવેશ, બૂટ-મોજાં અને શૈક્ષણિક કીટ વિતરણ જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી, જેના પરિણામે રાજ્યમાં ડ્રોપ-આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે.આ યોજનાને લાંબા ગાળાનું વિઝન ગણાવતા વિધાનસભા ઉપાધ્યક્ષે ગર્વભેર જણાવ્યું કે, આજે આ ભગીરથ પ્રયાસને ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. જે બાળકોની આંગળી પકડીને શ્રી નરેન્દ્ર મોદીએ શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, આજે તેમાંથી અસંખ્ય દીકરા-દીકરીઓ પાયલોટ, ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને પ્રોફેસર બનીને દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. તેમણે વાલીઓને આહવાન કરતા કહ્યું કે, આજનો જમાનો માત્ર પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ સુધી સીમિત નથી, પરંતુ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનનો છે. આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં આપણા દેશના બાળકો માટે ઉપલબ્ધ પ્લેટફોર્મ વિશ્વના અન્ય દેશો કરતા શ્રેષ્ઠ છે. એક સામાન્ય અને અંતરિયાળ ટ્રાયબલ વિસ્તારનો દીકરો જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવીને આકાશમાં પાયલોટ બનીને ઉડે છે, ત્યારે તે સમગ્ર સમાજ અને દેશ માટે ગૌરવની ક્ષણ બને છે. શિક્ષણના આ પરિવર્તનથી માત્ર એક કુટુંબ જ સુખી નથી થતું, પરંતુ સમગ્ર ગામ, શહેર અને દેશના વિકાસમાં નવી ક્રાંતિ આવી રહી છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીઓ, વિવિધ વિભાગોના સરકારી અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, શિક્ષકગણ, એસ.એમ.સી. ના સભ્યશ્રીઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

