પ્રાકૃતિક ખેતીનું ‘દેશી કારખાનું’: જીવામૃત અને નિતાર સિસ્ટમથી ખેડૂત બનશે આત્મનિર્ભર
પ્રાકૃતિક ખેતી આજે જમીનની ફળદ્રુપતા સુધારવા અને ઓર્ગેનિક ઉત્પાદન મેળવવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની ગઈ છે. આ પદ્ધતિનો મુખ્ય આધાર દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતા જૈવિક જીવામૃત અને વિવિધ પ્રકારના ખાતરો છે. ખેડૂત પોતે જ પોતાના ખેતરે આ ખાતરો તૈયાર કરી શકે તે માટે “જીવામૃત પ્લાન્ટ” એટલે કે દેશી ખાતર બનાવવાનું કારખાનું અને તેના નિતાર (સતત પ્રવાહી ખાતર) મેળવવાની સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
જીવામૃત બનાવવાનું આધુનિક સેટઅપ
આ કારખાનું બનાવવા ખેતરમાં એક ચોક્કસ જગ્યાએ દેશી ખાતર બનાવવા માટેનું માળખું તૈયાર કરવામાં આવે છે. પ્લાન્ટનું માળખાં માટે સામાન્ય રીતે ૨૦૦ લીટરના ૨ થી ૪ પ્લાસ્ટિકના ડ્રમ અથવા ૫૦૦ થી ૧૦૦૦ લીટરની સિમેન્ટ/પ્લાસ્ટિકની ટાંકીઓનો ઉપયોગ થાય છે. આ ટાંકીઓ ઉપર છાંયડો રહે તે માટે એગ્રોનેટ અથવા પતરાનો શેડ બનાવવામાં આવે છે, જેથી સૂર્યનો સીધો તાપ અને વરસાદનું પાણી જીવામૃતમાં ન પડે. ત્યારબાદ તેમાં મૂળભૂત સામગ્રી દેશી ગાયનું તાજું છાણ, દેશી ગાયનું ગૌમૂત્ર, કાળો/દેશી ગોળ, ચણા કે બેસનનો લોટ, શેઢાની કે વડ નીચેની સજીવ માટી અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી જીવામૃત બનાવવા માટે રાખવામાં આવે છે.
નિતાર (સ્લરી) મેળવવા માટેની સિસ્ટમ
જીવામૃત બનાવીને તેને પિયતના પાણી સાથે અથવા સ્પ્રેમાં વાપરવા માટે તેમાંથી ઘન કચરો દૂર કરવો અને શુદ્ધ નિતાર મેળવવો જરૂરી છે. આ માટે ખાસ ફિલ્ટરેશન કે નિતાર સિસ્ટમ બનાવવામાં આવે છે. જેમાં ગ્રેવિટી આધારિત ડબલ ટાંકી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરની ટાંકી (મિક્સિંગ ટાંકી)ને જમીનથી ૩-૪ ફૂટ ઊંચાઈ પર રાખવામાં આવે છે. તેમાં છાણ, ગૌમૂત્ર, ગોળ, બેસન અને પાણી ભેગા કરીને જીવામૃત તૈયાર કરવામાં આવે છે. નીચેની ટાંકી (ફિલ્ટર ટાંકી)માં ઉપરની ટાંકીમાંથી એક આઉટલેટ વાલ્વ મૂકવામાં આવે છે, જેની આગળ ઝીણી જાળી અથવા કોટનનું કાપડ રાખવામાં આવે છે. નિતાર મેળવવાની પ્રક્રિયા જીવામૃત ૪ થી ૭ દિવસમાં તૈયાર થઈ જાય પછી ઉપરની ટાંકીનો વાલ્વ ખોલવામાં આવે છે. જાળી કે કાપડમાંથી ગળાઈને શુદ્ધ પ્રવાહી નીચેની ટાંકીમાં એકઠો થાય છે. આ નિતાર એકદમ પાતળો અને કચરા વગરનો હોય છે, જેથી ડ્રિપ ઈરિગેશન કે પંપ દ્વારા છંટકાવ કરતી વખતે નોઝલ બ્લોક થતી નથી.
નિતાર સિસ્ટમના ફાયદાઓ
વારંવાર હાથેથી ગાળવાની જરૂર રહેતી ન હોવાથી શ્રમ અને સમયની બચત થાય છે.યોગ્ય રીતે ગાળેલો નિતાર ડ્રિપ લાઈનમાં સીધો આપી શકાય છે.જીવામૃતનો આ નિતાર જમીનમાં મિત્ર બેક્ટેરિયા અને અળસિયાની સંખ્યા ઝડપથી વધારે છે જેથી જમીનની તંદુરસ્તી સારી જળવાઈ રહે છે.બહારથી રાસાયણિક ખાતરો ખરીદવાનો ખર્ચ શૂન્ય થઈ જાય છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, ત્યારે પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. ખેતરમાં જ ‘દેશી ખાતરનું કારખાનું’ અને ‘જીવામૃત નિતાર સિસ્ટમ’ જેવી સરળ અને સસ્તી ટેકનોલોજી અપનાવવાથી ખેડૂત આત્મનિર્ભર બને છે. દેશી ગાય આધારિત આ આધુનિક નિતાર પદ્ધતિ ખેડૂતને આર્થિક રીતે સક્ષમ બનાવી “આત્મનિર્ભર ખેડૂત, સમૃદ્ધ ખેતી”ના સ્વપ્નને સાકાર કરે છે અને સમાજને ઝેરમુક્ત, પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.

