ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ડભોડાના રણછોડરાયજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવમાં ગ્રામજનો સાથે સહભાગી થયા

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે શ્રી રણછોડરાયજીના મંદિરે જન્માષ્ટમીના પાવન પર્વની કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગરના 250 વર્ષ જૂના પૌરાણિક અને તાજેતરમાં નવ નિર્મિત કરાયેલા, ડભોડા ગામ સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરે ઉપસ્થિત રહી, ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં ગ્રામજનો સાથે સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ભગવાન રણછોડરાયના ભક્તિ ભાવપૂર્વક દર્શન કરી , આરતી,પૂજા – અર્ચન કર્યા હતા.તેમણે ભગવાન કૃષ્ણના પારણાંને પણ ઝુલાવ્યું હતું. મંદિરના મહંત શ્રી શ્રી હરિરામ સ્વામી 1008 મહામંડલેશ્વરે મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ આપ્યા હતા. ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી અને સ્મૃતિચિન્હ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રણછોડરાય મંદિરને ફૂલોથી શણગારી, ભગવાન ને 101 વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે ભગવાન શ્રી રણછોડરાયને પ્રાર્થના કરી હતી. તેમણે ગુજરાતની જનતાને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડભોડાના હનુમાનજી મંદિરે પણ દર્શન કર્યા હતા. આ અવસરે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સરપંચ શ્રી ભરતસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગામના અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *