ગાંધીનગરમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો સામે માત્ર ચૂંટણી પૂર્વે જ કાર્યવાહી કેમ?
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સેક્ટરોમાં રહેણાંક હેતુના પ્લોટોમાં થયેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો અંગે પ્લોટ ધારકોને નોટિસો પાઠવવામાં આવી રહી છે. વર્ષોથી રહેણાંક પ્લોટોમાં શોપિંગ સેન્ટરો, ઓફિસો અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હોવા છતાં અચાનક ચૂંટણી નજીક આવી ત્યારે જ તંત્રને કાયદાનું સ્મરણ કેમ થયું? તેવો સવાલ શહેરના જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યો છે. ગાંધીનગરમાં રહેણાંક પ્લોટો પર થયેલા અનેક કોમર્શિયલ બાંધકામો કોઈ એક-બે દિવસમાં ઊભા થયા નથી. વર્ષોથી આવી મિલકતો ખુલ્લેઆમ વપરાશમાં છે. અનેક વખત નોટિસો આપવામાં આવી, ક્યાંક તાર ફેન્સિંગ કરવામાં આવ્યું, તો ક્યાંક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ થોડા સમય બાદ ફરીથી એ જ મિલકતો પૂર્વવત્ કાર્યરત થઈ ગઈ.
જો ગેરકાયદે બાંધકામો ખરેખર કાયદાનો ભંગ કરતા હોય, તો વર્ષો સુધી તેને ચાલુ રાખવાની જવાબદારી કોની? શું જવાબદાર અધિકારીઓ સામે ક્યારેય કાર્યવાહી કરવામાં આવી? શહેરના અનેક નાગરિકો એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે દર ચૂંટણી પહેલાં જ આવી નોટિસો આપવાનો સિલસિલો કેમ શરૂ થાય છે? જો કાયદાનું પાલન કરાવવું જ હેતુ હોય તો સમગ્ર કાર્યકાળ દરમિયાન કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? નાગરિકોમાં એવી ચર્ચા છે કે ચૂંટણી પહેલાં નોટિસો આપીને પછી સમાધાન અથવા કાર્યવાહી શિથિલ રાખવાની પરંપરા રાજકીય લાભ માટે ઉપયોગમાં લેવાતી હોવાનો આક્ષેપ થાય છે. આવા આક્ષેપો તંત્રની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ગાંધીનગરના નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ. જો બાંધકામો ગેરકાયદેસર હોય તો ભેદભાવ વગર કાયદેસરની અને પારદર્શક કાર્યવાહી થવી જોઈએ. જો કાર્યવાહી કરવાની જ ન હોય તો માત્ર નોટિસો આપીને લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવું અને પછી ફાઈલો બંધ કરી દેવી એ વહીવટી તંત્રની નિષ્ફળતા ગણાશે. જનતા હવે માત્ર નોટિસોના નાટકથી સંતોષ માનવા તૈયાર નથી. લોકો ઈચ્છે છે કે સરકાર અને મહાનગરપાલિકા સ્પષ્ટ કરે કે આ કાર્યવાહી ખરેખર કાયદાના અમલ માટે છે કે પછી ચૂંટણી પૂર્વેનો એક વધુ વહીવટી દેખાવ.

