ગાંધીનગરગુજરાત

વિપક્ષનેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર : ગરીબ અને મધ્યમવર્ગને સાચા અર્થમાં મદદરૂપ થવા શું કરી માંગ ? જાણો.

ગાંધીનગર :
ગરીબ અને મધ્યમવર્ગને સાચા અર્થમાં મદદરૂપ થવા રાશનની કીટમાં તથા તમામ રાશનકાર્ડધારકોને અપાતા અનાજના પુરવઠામાં ખાદ્યતેલનો પણ સમાવેશ કરવા બાબત આજે વિપક્ષ નેતાશ્રી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખીને ખાસ માંગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. વિશ્વના 205 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે, જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બનેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, (WHO) એ પણ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે. કોરોના વાયરસને આગળ વધતો/ફેલાતો અટકાવવા, સરકાર દ્વારા સમગ્ર દેશમાં સોશ્યલ ડીસ્ટેન્સીંગ જળવાઈ રહે તે હેતુસર તા. 22-3-2020ના રોજ જનતા કરફયુ અને ત્યારબાદ તા. 24-3-2020થી 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેનું ચુસ્‍ત પાલન ગુજરાતની જનતા દ્વારા પણ કરવામાં આવી રહ્‌યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે પણ આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્યની જનતાને ઉગારી લેવાના ઉદ્દેશ્ય સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી છે.


લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના વેપાર-ધંધા-રોજગાર સહિત રોજીંદુ જનજીવન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત દયનીય બની ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જે રાશનની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ખાદ્યતેલનો સમાવેશ કરવામાં આવેલ નથી, જેથી આ કીટ અધૂરી રહે છે. દરેક પરિવારને અનાજ પકવવા માટે ખાદ્યતેલની ખાસ જરૂરિયાત હોય છે. રાશનની કીટમાં મીઠું આપવું તે કીટને સંપૂર્ણ કરવા માટેનું કારણ હોઈ શકે પરંતુ તેમાં ખાદ્યતેલનો સમાવેશ થયેલ નથી, જેથી કીટ અધૂરી રહે છે. આવા સંજોગોમાં અનાજ વિતરણમાં કે રાશનની કીટમાં ખાદ્યતેલનો સમાવેશ ન કરવો તે ગરીબ અને મધ્યમવર્ગની મશ્કરી સમાન છે. આગામી તા. 13-4-2020 ના રોજ વિતરણ થનારી અનાજની કીટમાં ખાદ્યતેલનો સમાવેશ કરવો તથા હવે પછી રાજ્યના તમામ રાશનકાર્ડ ધારકોને અપાતા રાશનના જથ્થામાં પણ ખાદ્યતેલનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે.
રાજ્ય સરકાર ઉક્ત બાબતને ખૂબ જ ગંભીરતાથી લે અને રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના હિતમાં તમામ રાશનકાર્ડ ધારકોને અપાતી રાશનની કીટમાં ખાદ્યતેલનો અવશ્ય સમાવેશ કરવા જરૂરી કાર્યવાહી થવા ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણી એ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x