ગુજરાત

જયરાજસિંહ પરમારનું કોંગ્રેસને બાય બાય, સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કરશે કેસરિયો

કોંગ્રેસ(Congress)ના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર (Jayrajsinh Parmar) આખરે કેસરિયા કરવા જઈ રહ્યા છે. આજે જયરાજસિંહ ગાંધીનગરમાં કમલમ ખાતે વિધિવત રીતે સવારે 11 વાગ્યે ભાજપ (BJP)નો ખેસ ધારણ કરશે. જયરાજસિંહ પરમારે આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આજે જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થશે.

જયરાજસિંહ પરમારે કૉંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો હતો. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો કર્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

ટ્વિટ કરીને આપી હતી જાણકારી

થોડા દિવસ પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી દેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપ (BJP) માં જોડાશે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલતી હતી અને જયરાજસિંહ પણ આ બાબતે કોઇ ફોડ પાડવા તૈયાર નહોતા પણ બે દિવસ પહેલા ખુદ જયરાજસિંહે જ ટ્વિટ કરીને પોતે મંગળવારે ભાજપમાં જોડાવાના હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે લખ્યું છે કે મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પૂર્વે બે પાનાનો પત્ર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુખ્ય ચહેરો ગણાતા હતા, પણ ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય મત પોતાના પક્ષે કરવા માટે જયરાજસિંહને પોતાના પક્ષમાં ખેચ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x